03 June, 2026 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્પીડિંગ બાઇકને કારણે મૃત્યુ પામેલા રાધાકૃષ્ણ મેનન.
રવિવારે સવારે ૮૨ વર્ષના રાધાકૃષ્ણ મેનન અંધેરીના ચાર બંગલામાં આવેલા તેમના ઘરેથી સરદાર વલ્લભભાઈ પટેલ નગર પોતાની પૌત્રીને દરરોજના નિયમ મુજબ મળવા જતા હતા ત્યારે તેમને ખ્યાલ નહીં હોય કે તેઓ તેમની પૌત્રી સુધી પહોંચી નહીં શકે. તેઓ લોખંડવાલા બૅક રોડથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે સ્પીડમાં આવતી બાઇકે તેમને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
આ વિસ્તારમાં વધતા જતા સ્પીડિંગના અને રેસના બનાવોથી સ્થાનિકો ખૂબ પરેશાન છે. અંધેરી લોખંડવાલા ઓશિવરા સિટિઝન્સ અસોસિએશનના સભ્યોએ કહ્યું હતું કે ‘આવી ઘટના વારંવાર બને છે અને અમુક યુવાનો ફક્ત તેમના મનોરંજન માટે સ્પીડમાં વાહનો ચલાવે છે. તેમના પર લગામ મૂકવી જરૂરી છે. આ માટે પોલીસ કડક પગલાં લે એ જરૂરી છે.’
આ ઘટનાની જાણ અંધેરી પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીઓને કરીને રાધાકૃષ્ણ મેનનનો જીવ લેનારા બાઇકર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે હાલ તે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે.