14 December, 2025 07:51 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
ઈમરાન ખાન
યુનાઇટેડ નેશન્સની યાતના સંદર્ભની નિષ્ણાત અૅલિસ જિલ એડવર્ડ્સે ગઈ કાલે પાકિસ્તાન સરકારને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની જેલની સ્થિતિના અહેવાલો અંગે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘જેલમાં તેમની કોઠડીમાં લાઇટ કે વેન્ટિલેશન નથી, નમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોઈને મળવા દેવામાં આવતા નથી. આ અમાનવીય છે અને ત્રાસદાયક છે. હું પાકિસ્તાની અધિકારીઓને અપીલ કરું છું કે તેઓ ખાતરી કરે કે ઇમરાન ખાનની અટકાયતની શરતો આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હોય. ઇમરાન ખાનની એકાંત કેદની સજા વિલંબ કર્યા વિના સમાપ્ત થવી જોઈએ. એ માત્ર ગેરકાયદે પગલું નથી, લાંબા સમય સુધી એકાંત કેદ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વિનાશક પરિણામો લાવી શકે છે.’
અૅલિસ જિલ એડવર્ડ્સે અહેવાલ આપ્યો હતો કે ‘૨૦૨૩ની ૨૬ સપ્ટેમ્બરે રાવલપિંડીની અદિયાલા જેલમાં ટ્રાન્સફર થયા પછી ઇમરાન ખાનને લાંબા સમય સુધી એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે. તેમને દિવસમાં ૨૩ કલાક તેમની કોઠડીમાં બંધ રાખવામાં આવે છે અને બહારની દુનિયા સાથે તેમનો સંપર્ક ખૂબ જ પ્રતિબંધિત છે.’
ઇમરાન ખાનને તેમના સેલમાં સતત કૅમેરા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર કાયદા હેઠળ લાંબા સમય સુધી એકાંત કેદ પ્રતિબંધિત છે અને જો એ ૧૫ દિવસથી વધુ ચાલે તો એને ત્રાસનો એક પ્રકાર માનવામાં આવે છે.