03 March, 2026 07:43 AM IST | Riyadh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ (Middle East War) સતત વધી રહ્યો છે. તાજેતરની માહિતી અનુસાર રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે દૂતાવાસમાં આગ લાગી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર બે ઈરાની ડ્રોન (Middle East War) દ્વારા ઍટેક કરવામાં આવ્યો છે. જેથી થોડેક અંશે આગ પણ ફાટી નીકળી હતી. પરિણામે માલને નુકસાન પણ થયું છે. આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ બરાબરના અકળાયા છે અને તેઓએ ચેતવણી આપી છે એમ કહીને કે "હવે તમને ખબર પડશે કે બદલો શું હોય છે"
ટ્રમ્પે આ હુમલાઓ વચ્ચે એવી ચેતવણી આપી છે કે બદલાનો સમય નજીક આવી રહ્યો છે. ન્યૂઝ નેશનને આપેલા એક ઇન્ટરવ્યુમાં એક્સ પર એક પત્રકાર દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે ટ્રમ્પે દૂતાવાસની સ્ટ્રાઈક અને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુએસ લશ્કરી કર્મચારીઓના મોત બંનેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે "તમને જલ્દી જ ખબર પડશે કે કે બદલો શું હોય છે"
સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે દૂતાવાસના પરિસરમાં બે ડ્રોન દ્વારા ઍટેક કરવામાં આવ્યો હતો. જેના પરિણામે થોડીક આગ પણ ભભૂકી હતી. પરંતુ આ હુમલા (Middle East War)માં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
તમને જણાવી દઈએ કે ૨૮મી ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલા ઈરાનને ટાર્ગેટ બનાવીને યુએસ અને ઇઝરાયલ દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા. ત્યારબાદ અમેરિકી લશ્કરી મથકોની યજમાની કરતા ગલ્ફ રાજ્યોને નિશાન બનાવતા ઈરાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓની લહેર ચાલી રહી છે. આ હુમલાઓની લહેર વચ્ચે હવે રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર ૨ ડ્રોન વડે હુમલો કરાયો છે. આ ટાઇટ-ફોર-ટેટ હુમલાઓએ ચાલી રહેલાં સંઘર્ષમાં હજી વધારો કર્યો છે અને હવે આ યુદ્ધ હવે લગાતાર ચોથા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે.
ઈરાને ઇઝરાયલ અને કેટલાક આરબ દેશો ઉપર પણ મિસાઇલ વડે હુમલાઓ જારી રાખ્યા છે. જ્યારે હિઝબુલ્લાએ લેબનોનથી રોકેટ અને ડ્રોન વડે ઇઝરાયલ પર હુમલો કર્યો છે. ઇઝરાયેલે બેરૂતના દક્ષિણ ઉપનગરો અને દક્ષિણ લેબનોનમાં ભારે હવાઈ હુમલાઓ કરીને વળતો જવાબ આપ્યો છે. લેબનોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલાઓમાં ૩૧થી પણ વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયલે તો આ યુદ્ધ (Middle East War)ને લઈને કહ્યું છે કે તે તો લાંબા સમય સુધી ચાલશે.
સંઘર્ષ વચ્ચે તેહરાને પોતાનું વલણ કડક કર્યું છે. વરિષ્ઠ અધિકારી અલી લારીજાનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના વોશિંગ્ટન વાટાઘાટો માટે તૈયાર હોવાના સંકેતો છતાં ઈરાન યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાટાઘાટો કરવાનું નથી.