03 March, 2025 07:05 AM IST | Jerusalem | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ભારે તબાહી જોવા મળી રહી છે. આ યુદ્ધ વચ્ચે રવિવારે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં તમામ માલસામાન અને પુરવઠાના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે આ નિર્ણય અંગે કોઈ સ્પષ્ટતા આપી ન હતી, પરંતુ ચેતવણી આપી હતી કે જો હમાસ અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારશે નહીં તો તેના વધુ ખરાબ પરિણામો આવી શકે છે. આ જાહેરાત પછી પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. એવા અહેવાલ છે કે હમાસ યુદ્ધવિરામ સ્વીકારી રહ્યું નથી તેથી ઇઝરાયલે આ પગલું ભર્યું છે.
ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો શનિવારે સમાપ્ત થયો. બન્ને પક્ષોએ હજી સુધી બીજા તબક્કા માટે વાટાઘાટો કરી નથી. હમાસે ઇઝરાયલી સેનાને પછી ખેંચવા અને કાયમી યુદ્ધવિરામના બદલામાં બાકીના તેમના ડઝનબંધ બંધકોને મુક્ત કરવાનું હતું. અગાઉ, ઇઝરાયલે કહ્યું હતું કે તે યુદ્ધવિરામના પ્રથમ તબક્કાને રમઝાન અને પાસઓવર, અથવા 20 એપ્રિલ સુધી લંબાવવાના પ્રસ્તાવને સમર્થન આપે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવ અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના મધ્યપૂર્વના રાજદૂત સ્ટીવ વિટકોફ તરફથી આવ્યો હતો.
પ્રસ્તાવ હેઠળ, હમાસ પહેલા દિવસે અડધા બંધકોને મુક્ત કરશે અને બાકીનાને કાયમી યુદ્ધવિરામ પર સંમતિ થયા પછી મુક્ત કરશે. આ માહિતી ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. નેતન્યાહૂના કાર્યાલયના નિવેદનનો જવાબ આપતા, હમાસના વરિષ્ઠ અધિકારી મહમૂદ મર્દાવીએ કહ્યું કે આ સ્પષ્ટ પુષ્ટિ છે કે ઇઝરાયલ અગાઉ કરવામાં આવેલા કરારોને નકારી રહ્યું છે.
ઇઝરાયલ કહે છે કે યુદ્ધવિરામ લંબાવવાનો અમેરિકાનો પ્રસ્તાવ શાંતિ અને સ્થિરતા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે, પરંતુ હમાસે આ અંગે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપતા પહેલા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. વિશ્લેષકો કહે છે કે આ નિર્ણય ગાઝામાં માનવતાવાદી સંકટને વધુ ખરાબ કરી શકે છે. ગાઝા પટ્ટી પર સતત થઈ રહેલા હુમલાઓને કારણે પરિસ્થિતિ પહેલાથી જ ખૂબ જ ગંભીર છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં હજારો લોકોના જીવ ગયા છે અને લાખો અન્ય લોકોને અસર થઈ છે.
ઇઝરાયલે ચેતવણી આપી છે કે જો હમાસ યુદ્ધવિરામ સ્વીકારશે નહીં તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. વધુમાં, ઇઝરાયલી અધિકારીઓએ એમ પણ કહ્યું કે તેઓ કોઈપણ વધારાના પગલાં લેવામાં અચકાશે નહીં. ગાઝા પટ્ટીમાં હાલમાં માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની રહી છે અને આ વિસ્તારમાં પુરવઠાના અભાવને કારણે લોકોની જીવનશૈલી પર ભારે અસર પડી છે. આ કટોકટીના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ હાલમાં કોઈ નક્કર ઉકેલ દેખાતો નથી.