16 March, 2026 11:15 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
છ આંગળીવાળા આ વિડિયોએ મૃત્યુની આશંકા જગાવી.
મિડલ ઈસ્ટ યુદ્ધ દરમ્યાન નેતન્યાહુની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા હતા. શું નેતન્યાહુની હત્યા કરવામાં આવી છે? સોશ્યલ મીડિયા પર કરવામાં આવતા દાવાઓ વિશે કોઈ નિવેદન છે? એવા સવાલના જવાબમાં નેતન્યાહુની ઑફિસે જવાબ આપ્યો હતો કે આ ખોટા સમાચાર છે, વડા પ્રધાન ઠીક છે. આ અફવાઓ એક વિડિયો દ્વારા ફેલાઈ હતી જેમાં તેમને એક હાથ પર છ આંગળીઓ બતાવતા દર્શાવવામાં આવ્યા હતા. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ Xના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (Al) એજન્ટ ગ્રોકે કહ્યું હતું કે આ દૃશ્યો બનાવટી છે. એ વાતોની વચ્ચે બેન્ઝામિન નેતન્યાહુ મહત્ત્વની પ્રેસ મીટિંગમાં પણ ગેરહાજર રહેતાં તેમની હત્યા થયાની વાતોને વેગ મળ્યો હતો. સ્થાનિક મીડિયા એજન્સીઓનું કહેવું હતું કે નેતન્યાહુ મોટા ભાગે આવા પ્રસંગે ગેરહાજર રહે એવું ભાગ્યે જ બનતું હોય છે.
જોકે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઑફિસે શનિવારે સોશ્યલ મીડિયાના દાવાઓને ફગાવી દીધા હતા. પોતાના મૃત્યુની અફવા વચ્ચે નેતન્યાહુએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં તેઓ એક રેસ્ટોરાંમાં બેસીને કૉફી પી રહ્યા છે. એ વિડિયોને કૅપ્શન આપીને તેમણે લખ્યું હતું, ‘કહો તો હું કોણ છું?’
ઈરાને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુનો પીછો કરીને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી, ‘જો હજી નથી મર્યા તો અમે મારી નાખીશું’
ઇઝરાયલે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યાના અહેવાલોને નકારી કાઢ્યા પછી ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ તેમને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. IRGCએ કહ્યું હતું કે વેસ્ટ એશિયામાં વધતા યુદ્ધ વચ્ચે જો બેન્જામિન નેતન્યાહુ જીવતા રહેશે તો તેઓ અમારા નિશાન પર રહેશે. એક નિવેદનમાં IRGCએ નેતન્યાહુને બાળકોના હત્યારા ગુનેગાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જો તેઓ જીવતા રહેશે તો અમે તેમનો પીછો કરીશું અને તેમની હત્યા કરીશું. જો આ બાળહત્યારો ગુનેગાર જીવતો હશે તો અમે સંપૂર્ણ તાકાતથી તેનો પીછો કરવાનું ચાલુ રાખીશું અને તેને મારી નાખીશું.