મની-લૉન્ડરિંગ વિશે ભારતના ચીફ જસ્ટિસનું લંડનમાં મોટું નિવેદન

01 September, 2026 10:24 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

દુનિયામાં એટલું કાળું નાણું છે કે જગતના ૮ અબજ લોકો માટે પર્સનલ લૅપટૉપની ખરીદી થઈ શકે

ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત

ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજમાં શનિવારે આર્થિક ગુના પર ૪૩મા આંતરરાષ્ટ્રીય પરિસંવાદના સમાપન સત્રને સંબોધતાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે વિશ્વભરમાં મોટા પાયે થતા મની-લૉન્ડરિંગ વિશે વાત કરતાં કહ્યું હતું કે એક વર્ષમાં વિશ્વભરમાં જેટલી ગેરકાયદેસર રકમની હેરફેર કરવામાં આવે છે અેનાથી વિશ્વના ૮ અબજ લોકોમાંથી દરેક માટે એક સાધારણ લૅપટૉપ ખરીદી શકાય છે, પણ કમનસીબીની વાત એ છે કે આ નાણાંમાંથી એક ટકાથી પણ ઓછા પૈસા પાછા મળે છે. હવે આર્થિક ગુના સામેની વૈશ્વિક લડાઈનું ધ્યાન ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મળેલાં નાણાંને ટ્રેસ કરવા, ફ્રીઝ કરવા અને રિકવરી પર હોવું જોઈએ.’

મની-લૉન્ડરિંગના કેસોમાં જપ્ત કરવામાં આવતી રકમ ખૂબ ઓછી હોય છે એ વાત પર તેમણે ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ‘ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિમાંથી એક ટકો રકમ પણ પાછી મળતી નથી અને અે છતાં આ ૯૯ ટકા રકમનો ઉલ્લેખ ફક્ત ભાષણો અને અહેવાલોમાં થાય છે. ૮ અબજ લોકોને લૅપટૉપ આપ્યાં પછી પણ રકમ બચી શકે એટલી મોટી સંપત્તિનું 
મની-લૉન્ડરિંગ થાય છે.

૪૦ સામે ૪૦

જસ્ટિસ સૂર્યકાન્તે  કૌટિલ્યના અર્થશાસ્ત્રનો પણ ઉલ્લેખ કર્યો જેમાં અધિકારીઓ દ્વારા સરકારી આવક લૂંટવાની ૪૦ પદ્ધતિઓ ઓળખવામાં આવી હતી અને ઑડિટ, માહિતી આપનારાઓ, ક્રૉસ-વેરિફિકેશન અને જપ્તી જેવાં પગલાં સૂચવવામાં આવ્યાં હતાં. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે અર્થશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલી કરચોરીની ૪૦ પદ્ધતિઓ સાથે હવે સર્ચ, ફ્રીઝિંગ અને રિકવરીની ૪૦ વધુ સારી પદ્ધતિઓ હોવી જોઈએ.

international news england chief justice of india cambridge world news