01 September, 2026 10:24 AM IST | England | Gujarati Mid-day Correspondent
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત
ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજમાં શનિવારે આર્થિક ગુના પર ૪૩મા આંતરરાષ્ટ્રીય પરિસંવાદના સમાપન સત્રને સંબોધતાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે વિશ્વભરમાં મોટા પાયે થતા મની-લૉન્ડરિંગ વિશે વાત કરતાં કહ્યું હતું કે એક વર્ષમાં વિશ્વભરમાં જેટલી ગેરકાયદેસર રકમની હેરફેર કરવામાં આવે છે અેનાથી વિશ્વના ૮ અબજ લોકોમાંથી દરેક માટે એક સાધારણ લૅપટૉપ ખરીદી શકાય છે, પણ કમનસીબીની વાત એ છે કે આ નાણાંમાંથી એક ટકાથી પણ ઓછા પૈસા પાછા મળે છે. હવે આર્થિક ગુના સામેની વૈશ્વિક લડાઈનું ધ્યાન ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મળેલાં નાણાંને ટ્રેસ કરવા, ફ્રીઝ કરવા અને રિકવરી પર હોવું જોઈએ.’
મની-લૉન્ડરિંગના કેસોમાં જપ્ત કરવામાં આવતી રકમ ખૂબ ઓછી હોય છે એ વાત પર તેમણે ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ‘ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિમાંથી એક ટકો રકમ પણ પાછી મળતી નથી અને અે છતાં આ ૯૯ ટકા રકમનો ઉલ્લેખ ફક્ત ભાષણો અને અહેવાલોમાં થાય છે. ૮ અબજ લોકોને લૅપટૉપ આપ્યાં પછી પણ રકમ બચી શકે એટલી મોટી સંપત્તિનું
મની-લૉન્ડરિંગ થાય છે.
૪૦ સામે ૪૦
જસ્ટિસ સૂર્યકાન્તે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો પણ ઉલ્લેખ કર્યો જેમાં અધિકારીઓ દ્વારા સરકારી આવક લૂંટવાની ૪૦ પદ્ધતિઓ ઓળખવામાં આવી હતી અને ઑડિટ, માહિતી આપનારાઓ, ક્રૉસ-વેરિફિકેશન અને જપ્તી જેવાં પગલાં સૂચવવામાં આવ્યાં હતાં. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે અર્થશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલી કરચોરીની ૪૦ પદ્ધતિઓ સાથે હવે સર્ચ, ફ્રીઝિંગ અને રિકવરીની ૪૦ વધુ સારી પદ્ધતિઓ હોવી જોઈએ.