24 ભારતીય ખલાસીઓ હતા એવા જહાજ પર હુમલો કે બીજું કઈ? શિપિંગ મંત્રાલયે શું કહ્યું

08 June, 2026 06:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) એ સોમવારે પુષ્ટિ કરી હતી કે હોર્મુઝના દક્ષિણ સ્ટ્રેટ નજીક સ્થિત MT મૅરીવેક્સ નામના જહાજમાં બપોરે 1:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મંત્રાલય અનુસાર, બોર્ડ પર સવાર તમામ 24 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, ઓમાનના કિનારા નજીક એક તેલ ટૅન્કરમાં આગ લાગી. તેમાં 24 ભારતીય ક્રૂ સભ્યો હતા. પ્રારંભિક અહેવાલોમાં મિસાઇલ હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ભારત સરકારે જણાવ્યું છે કે ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ છે. ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) એ સોમવારે પુષ્ટિ કરી હતી કે હોર્મુઝના દક્ષિણ સ્ટ્રેટ નજીક સ્થિત MT મૅરીવેક્સ નામના જહાજમાં બપોરે 1:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મંત્રાલય અનુસાર, બોર્ડ પર સવાર તમામ 24 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

સરકાર અને ભારતીય એજન્સીઓ સંપર્કમાં

શિપિંગ વિભાગના ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માએ આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, " ઉપલબ્ધ માહિતી અનુસાર, તમામ ભારતીય ક્રૂ સભ્યો હાલમાં સુરક્ષિત છે." તેમણે જણાવ્યું હતું કે મંત્રાલય વિદેશ મંત્રાલય, વિદેશમાં ભારતીય મિશન, ભારતીય નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલય સાથે સતત સંકલનમાં છે. શર્માએ ઉમેર્યું હતું કે, "અમે જહાજના માલિકો સાથે સંપર્કમાં છીએ અને કારણ તપાસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે વિદેશ મંત્રાલય અને ઓમાનમાં ભારતીય મિશન સાથે પણ સંપર્કમાં છીએ." જહાજ પર મિસાઈલ કે કોઈ હુમલો હતો કે નહીં? તે અંગે તેમણે કહ્યું “અમે હાલમાં સંપૂર્ણ અને સચોટ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આગની ઘટના આજે બપોરે 1:30 વાગ્યે બની હતી."