26 May, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ જ્વેલરીની યુનિકનેસ એની નૅચરલ અને એવરગ્રીન બ્યુટી છે
એક સમય હતો જ્યારે તુલસીની માળા, રુદ્રાક્ષ કે અલગ-અલગ રત્નોને માત્ર ભક્તિ અને ધાર્મિક માન્યતાઓ સાથે જ જોડવામાં આવતાં. ઘરના વડીલો આવી માળા હંમેશાં કપડાની અંદર છુપાવીને પહેરતા, કારણ કે એને બહુ પર્સનલ બાબત ગણવામાં આવતી. જોકે આજની જનરેશને આ જૂની વિચારધારાને નવો જ ટ્વિસ્ટ આપ્યો છે. હવે સ્પિરિચ્યુઅલિટી માત્ર મંદિરો કે પૂજાઘર સુધી સીમિત નથી રહી પણ એ ફૅશન, પર્સનલ સ્ટાઇલ અને સેલ્ફ-એક્સપ્રેશનનો મોટો હિસ્સો બની ગઈ છે.
આજે મેટ્રો સિટીઝનાં કૅફે, કૉલેજના કૅમ્પસ કે ઍરપોર્ટ પર નજર કરીએ તો યુવાનો હાથમાં કલરફુલ ક્રિસ્ટલ બ્રેસલેટ્સ, ગળામાં તુલસીની માળા અથવા જેમસ્ટોન્સની મિનિમલ જ્વેલરી ફ્લૉન્ટ કરતા જોવા મળે છે. મિલેનિયલ્સ અને જેન-ઝી માટે આ વસ્તુઓ માત્ર દેખાડો નથી, એક રીતે આંતરિક શાંતિ અને પૉઝિટિવ વાઇબ્સનું પ્રતીક છે. આજના યંગસ્ટર્સ પોતાની આસ્થાને છુપાવવાને બદલે બહુ ગર્વથી એને પોતાની આઇડેન્ટિટીનો ભાગ બનાવે છે.
આ ટ્રેન્ડ પાછળનું સૌથી મોટું કારણ બદલાતી લાઇફસ્ટાઇલ અને માઇન્ડસેટ છે. આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલ, સોશ્યલ મીડિયાના પ્રેશર અને સ્ટ્રેસની વચ્ચે યુવાનો માનસિક શાંતિ અને વેલનેસ તરફ વળ્યા છે. કોવિડ પછી હીલિંગ ક્રિસ્ટલ્સ, ચક્ર બૅલૅન્સિંગ અને હોલિસ્ટિક લિવિંગ જેવા શબ્દો બહુ કૉમન થઈ ગયા છે. ભલે લોકો એમાં કોઈ સાયન્ટિફિક લૉજિક શોધતા હોય કે ન હોય, પણ એનાથી મળતો આત્મવિશ્વાસ અને પૉઝિટિવિટી તેમને ચોક્કસ આકર્ષે છે.
આ ટ્રેન્ડને ગ્લૅમરસ બનાવવામાં સેલિબ્રિટીઝ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો પણ મોટો રોલ છે. અઢળક ઍક્ટ્રેસો પોતાના ઍરપોર્ટ લુક, યોગ સેશન્સ કે કૅઝ્યુઅલ આઉટિંગ્સમાં ક્રિસ્ટલ બ્રેસલેટ્સનું લેયરિંગ અને તુલસીની માળા સ્ટાઇલ કરતી દેખાય છે. ઇન્ટરનેટ પર આ તસવીરો વાઇરલ થતાં જ યુવાનો એને કૂલ ફૅશન-સ્ટેટમેન્ટ તરીકે અપનાવી રહ્યા છે.
આ જ્વેલરીની યુનિકનેસ એની નૅચરલ અને એવરગ્રીન બ્યુટી છે. ફૅશનના ટ્રેન્ડ્સ કદાચ દર મહિને બદલાય; પણ ઑર્ગેનિક પથ્થરો, નવરત્નો અને હૅન્ડમેડ માળાઓનો ક્લાસ ક્યારેય ઓછો થતો નથી. મિનિમલ લુકથી લઈને બોહો વાઇબ્સ સુધી આ ઍક્સેસરીઝ દરેક આઉટફિટ સાથે ઈઝીલી મૅચ થઈ જાય છે. એટલે જ યુવાનો એને માત્ર કોઈ રિચ્યુઅલ તરીકે નહીં પણ સ્ટાઇલ વિથ મીનિંગ તરીકે જુએ છે.
સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આજનો કન્ઝ્યુમર બહુ સ્માર્ટ અને જાગૃત બન્યો છે. લોકો હવે માત્ર દેખાદેખીમાં કંઈ પણ ખરીદી નથી લેતા. તેઓ ક્રિસ્ટલ્સનું એથિકલ સોર્સિંગ ક્યાંથી થયું છે, એની ઓરિજિન કઈ છે અને એની પાછળનો સાચો મીનિંગ શું છે એનું પૂરું રિસર્ચ કરે છે. એટલે કે આ ટ્રેન્ડ માત્ર દેખાવમાં બદલાવ લાવવા પૂરતો નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ અને સભાનતા સાથેનું કનેક્શન પણ દર્શાવે છે.