19 May, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સારા અલી ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો દો’ આધુનિક પ્રેમ અને લગ્નની નાજુકતા વિશે વાત કરે છે. વાસ્તવિક જીવનમાં પણ સારા લગ્નને ખૂબ પ્રૅક્ટિકલ નજરથી જુએ છે અને એને લઈને વધારે કલ્પનાઓમાં વિશ્વાસ રાખતી નથી. હાલમાં આ ફિલ્મના પ્રમોશન માટેની એક ઇવેન્ટમાં સારાએ સ્વીકાર્યું કે નજીકની વ્યક્તિઓના જીવનમાં લગ્ન તૂટતાં જોયા પછી હાલમાં તેનો મુખ્ય ઉદ્દેશ આત્મવિકાસ છે અને જીવનસાથી પસંદ કરવામાં તે ઉતાવળ કરવા માગતી નથી.
સારાએ પોતાના ફ્યુચર પ્લાન અને લગ્ન વિશેના વિચારો વ્યક્ત કરતાં કહ્યું, ‘તમારા વિચાર એ તમારા અનુભવ અને આસપાસ બનતી ઘટનાઓનું પરિણામ હોય છે. જીવનમાં ખૂબ ગંભીર વાત ન બને તો પણ મેં જોયું છે કે લગ્ન ખોટી દિશામાં પણ જઈ શકે છે. આવું ન થાય એ માટે ઉતાવળ કરવાને બદલે રાહ જોવી અને યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાં એ વધુ સારું છે. માત્ર જીવનસાથી હોવો જોઈએ એટલા માટે લગ્ન ન કરવાં જોઈએ અને જો લગ્ન ન થાય તો પણ કંઈ ખોટું નથી. મારા માટે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે બધું થશે. મારા માટે આ સૌથી મહત્ત્વની વાત છે. હું લગ્ન વગર પણ ખુશ રહી શકું છું. મને એવું લાગતું નથી કે કોઈ બીજા દ્વારા હું પૂર્ણ બનીશ. હું પોતાને પૂર્ણ બનાવવા માગું છું. હું મારી જાતને જ સંપૂર્ણ બનાવવા ઇચ્છું છું અને ફક્ત એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરીશ જે મને સમજે અને સન્માન આપે. હાલમાં હું માત્ર મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છું છું.’