26 May, 2026 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિવાદ બાદ રણવીર સિંહ પહોંચ્યો મંદિરે
બૉલિવૂડનો સ્ટાર ઍકટર રણવીર સિંહે મંગળવાર, 26 મેના રોજ કર્ણાટકના પ્રખ્યાત ‘ચામુંડેશ્વરી મંદિર’માં પ્રાર્થના કરી હતી. આ મુલાકાત ‘ડૉન 3’ વિવાદ અને FWICE દ્વારા જાહેર કરાયેલ બૅન બાદ વચ્ચે થઈ છે. રણવીરની મંદિર મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. વીડિયોમાં તે જમીન પર બેસીને પ્રાર્થના કરતો જોવા મળી રહ્યો છે. તેણે મંદિરના પૂજારીઓ સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા. મુલાકાત દરમિયાન, રણવીર પરંપરાગત પોશાકમાં હતો.
રણવીર સિંહની મંદિરની મુલાકાત એક કેસ સાથે જોડાયેલી છે. કર્ણાટક હાઈ કોર્ટે તાજેતરમાં તેની સામે દાખલ કરાયેલી FIR રદ કરી હતી. ફિલ્મ કાંતારાના એક સીનની નકલ પર આ કેસ નોંધવામાં આવ્યો હતો. કેટલાક સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે અભિનેતાએ કરેલી નકલથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. એપ્રિલ 2026 માં કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે રણવીર સિંહની બિનશરતી માફી સ્વીકારી હતી. વધુમાં, કોર્ટે તેને મૈસુરના ચામુંડેશ્વરી મંદિરમાં જવા અને ચાર અઠવાડિયામાં પ્રાર્થના કરવાનો નિર્દેશ આપ્યો હતો. અભિનેતા કોર્ટના આ નિર્દેશનું પાલન કરવા સંમત થયો હતો.
રણવીર સિંહ હાલમાં ફિલ્મ ડૉન 3 માંથી બહાર નીકળવાના વિવાદમાં ફસાયો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ તાજેતરમાં અભિનેતા સામે બૅનનો નિર્દેશ જાહેર કર્યો છે. સંગઠનનો આરોપ છે કે રણવીર આ બાબતે તેમની સમક્ષ હાજર થવા માટે મોકલવામાં આવેલી અનેક વિનંતીઓનો જવાબ આપવામાં નિષ્ફળ ગયો હતો.
રણવીર સિંહ મંગળવારે સવારે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. કર્ણાટક જતા પહેલા, અભિનેતાએ માસ્ક અને સનગ્લાસ પહેરીને લો પ્રોફાઇલ જાળવવાનો પ્રયાસ કર્યો. તે સફેદ કુર્તા-પાયજામા અને નેહરુ જૅકેટમાં સજ્જ જોવા મળ્યો હતો. ઍરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા પણ કડક દેખાતી હતી. વિવાદો વચ્ચે, રણવીર સિંહની ફિલ્મ ધુરંધર અને તેના બીજા ભાગ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ ઑફિસ પર એકદમ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફ્રેન્ચાઇઝીનું નિર્દેશન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે. બન્ને ફિલ્મોએ બે હજાર કરોડ કરતાં પણ વધુની કમાણી કરી હતી. તેમ જ ભારત સાથે દુનિયામાં OTT પર પણ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે.