મુકેશ ખન્ના કહે છે કે ‘ધુરંધર’ સ્ટારના ચહેરા પર નેગેટિવિટી છે જેના કારણે તે સુપરહીરો ન બની શકે
મુકેશ ખન્ના અને રણવીર સિંહ
‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની સફળતા પછી હાલમાં રણવીર સિંહની લોકપ્રિયતા વધી છે અને તેની ગણતરી ટોચના સ્ટાર તરીકે થાય છે. આ સંજોગોમાં પણ મુકેશ ખન્ના તેને શક્તિમાનના રોલ માટે સાઇન કરવા તૈયાર નથી. મુકેશ ખન્નાને લાગે છે કે રણવીરના ચહેરા પર એક ખાસ પ્રકારની નેગેટિવિટી છે જેના કારણે તે વિલન કિલવિશ તો બની શકે, પણ શક્તિમાન જેવો સુપરહીરો ન બની શકે. પોતાની લાગણી વ્યક્ત કરતાં મુકેશ ખન્નાએ કહ્યું હતું, ‘બધા લોકો મને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ‘ધુરંધર’ ચાલી ગઈ છે અને હવે તો રણવીર સિંહ બહુ મોટો અભિનેતા બની ગયો છે. જોકે હું શક્તિમાન માટે કોઈ મોટો અભિનેતા લેવા માગતો નથી. હું શક્તિમાન માટે એવી એક ઇમેજ ઇચ્છું છું જે રણવીર સાથે મને જોવા મળતી નથી. હું રણવીરની ઍક્ટિંગના વિરોધમાં નથી. તે અલાઉદ્દીન ખિલજી કરી શકે છે, ‘ગલી બૉય’ કરી ચૂક્યો છે, ‘ધુરંધર’ પણ તેણે ખૂબ સારી રીતે કરી છે. મેં તેની પ્રશંસા કરી છે પણ મારા માટે શક્તિમાન બનવા માટે માત્ર સારો અભિનેતા હોવો પૂરતું નથી. આ માટે એક ખાસ ચહેરાની પણ જરૂર છે. તેની આંખોમાં શક્તિમાન દેખાવું જોઈએ. હું રણવીરને વિલન કિલવિશના પાત્ર માટે સાઇન કરી શકું છું. તેના ચહેરા પર નેગેટિવિટી દેખાય છે, પૉઝિટિવિટી નહીં.’
રણવીર સિંહને પ્રલયમાં કામ કરવામાં વાંધો પડ્યો
રણવીર સિંહ હાલમાં ‘ધુરંધર’ અને એની સીક્વલ ‘ધુરંધર: ધ રિવેન્જ’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. રિપોર્ટ હતા કે આ ફિલ્મો પછી હવે રણવીર ‘પ્રલય’ નામની ઝોમ્બી થ્રિલર ફિલ્મમાં કામ કરવાનો છે જેનું ડિરેક્શન હંસલ મહેતાનો દીકરો જય મહેતા કરશે. જોકે રણવીરે આ ફિલ્મ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. હવે મળતી માહિતી પ્રમાણે રણવીર કદાચ આ ફિલ્મમાં કામ નહીં કરે. રિપોર્ટ પ્રમાણે ‘પ્રલય’નું શૂટિંગ આ વર્ષના મધ્ય સુધી શરૂ થવાનું હતું, પણ હવે એ સર્જનાત્મક મતભેદોને કારણે અટકી ગઈ છે. રણવીરને આ મતભેદોને કારણે ‘પ્રલય’માં કામ કરવામાં વાંધો પડ્યો છે. હવે રણવીર ‘પ્રલય’ને બદલે આદિત્ય ધર સાથે પૉલિટિકલ ઍક્શન થ્રિલરમાં કામ કરવા માગે છે. જોકે આ તમામ અટકળોને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું.