19 February, 2024 06:35 AM IST | Mumbairak | Gujarati Mid-day Correspondent
રાજકુમાર સંતોષી
રાજકુમાર સંતોષીને ચેક-બાઉન્સના કેસમાં જામનગરની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. જોકે રાજકુમાર સંતોષીએ તરત જામીન લઈ લીધા છે. હવે આ કોર્ટના ફેંસલા પર ૩૦ દિવસ સુધી સ્ટે લાગી ગયો છે. રાજકુમાર સંતોષીએ જણાવ્યું છે કે તેમને ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે. સાથે જ લાઇમલાઇટમાં રહેવાની તેમને કિંમત ચૂકવવી પડી છે એવું જણાવતાં રાજકુમાર સંતોષીએ કહ્યું કે ‘આ કેસ સરળતાથી ઉકેલાઈ જશે. મારા વકીલો એના પર કામ કરી રહ્યા છે. કાયદાને એનું કામ કરવા દો. મને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. સૌના આશીર્વાદથી હું મારી ‘લાહોર 1947’નું શૂટિંગ કરી રહ્યો છું. શબાના આઝમી પણ ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે. તેમની સાથે મેં અગાઉ કામ નથી કર્યું અને તેમની સાથે કામ કરવા માટે હું ખૂબ આતુર છું.’ આ કેસ પર વિસ્તારમાં જણાવતાં તેમના વકીલ બિનેશ પટેલે કહ્યું કે ‘પહેલી વાત તો એ કે કોર્ટે મિસ્ટર સંતોષીને જામીન આપતાં ૩૦ દિવસ સુધી સ્ટે લાગી ગયો છે. એથી એ ચુકાદા સામે હાઈ કોર્ટમાં અપીલ કરવા માટે અમારી પાસે હવે પૂરતો સમય છે.’