31 August, 2024 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર. માધવન
બૉલીવુડની કેટલીક સેલિબ્રિટીઝે પાન-મસાલા બ્રૅન્ડની ઍડ માટે લોકોની ટીકાનો ભોગ બનવું પડે છે એવામાં તાજેતરમાં આર. માધવને આવી ઍડ ઠુકરાવી દીધી છે, જેને માટે તેને મોટી રકમ મળી હોત. દર્શકો પ્રત્યે જવાબદારીનો અહેસાસ વ્યક્ત કરીને આવી ઍડ કરવાની તેણે ચોખ્ખી ના ભણી દીધી છે. હવે એ કંપની ફ્રેશ ચહેરો શોધશે. તેનું માનવું છે કે તે એવી કોઈ ઍડ નહીં કરે જેનાથી લોકોને નુકસાન થાય. શાહરુખ ખાન, અક્ષયકુમાર, અજય દેવગન અને ટાઇગર શ્રોફે પાન-મસાલાની આવી બ્રૅન્ડ પ્રમોટ કરવાને કારણે લોકોની ટીકા સાંભળવી પડી હતી. અગાઉ જૉન એબ્રાહમ પણ કહી ચૂક્યો છે કે એક તરફ ઍક્ટર્સ ફિટનેસની વાતો કરે છે અને બીજી તરફ આવી નુકસાનકારક પ્રોડક્ટને પ્રોત્સાહન આપે છે. એટલે તેણે નિર્ણય લીધો છે કે તે આવી બ્રૅન્ડ પ્રમોટ કરીને લોકોનાં જીવન સાથે ચેડાં નહીં કરે.