30 April, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા, રાઘવ ચઢ્ઢા અને નવજોત કૌર
રાઘવ ચઢ્ઢા હાલમાં આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયો છે. હવે ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકારણી નવજોત સિંહ સિધુનાં પત્ની નવજોત કૌર સિધુએ આ મામલે મોટો ખુલાસો કરતાં કહ્યું છે કે રાઘવને BJPમાં જોડાવામાં તેની પત્ની પરિણીતિ ચોપડાની કઝિન બહેન પ્રિયંકા ચોપડાએ મદદ કરી છે. નવજોત કૌર સિધુની વાતને વધારે મહત્ત્વ મળી રહ્યું છે, કારણ કે તેઓ કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય રહી ચૂક્યાં છે. નવજોત કૌર સિધુએ આ મામલે વાત કરતાં દાવો કર્યો છે કે ‘પ્રિયંકાને ખબર પડી હતી કે રાઘવ અને AAP વચ્ચે બધું ઠીક ચાલી રહ્યું નહોતું અને જેના કારણે રાઘવને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની તપાસનો સામનો કરવો પડી શકે છે. આ પછી પ્રિયંકાએ પોતાની બહેન પરિણીતિ માટે રાઘવને બચાવવા હસ્તક્ષેપ કર્યો. પરિણીતિએ કઝિન પ્રિયંકાને તેના પતિના AAP સાથે ચાલી રહેલા અણબનાવ વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટી રાઘવને કાઢી મૂકવાની તૈયારીમાં છે. આ પછી પ્રિયંકાએ પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને BJPના ટોચના નેતાઓ સાથે વાત કરી અને પાર્ટીમાં રાઘવના પ્રવેશની વ્યવસ્થા કરાવી.’ નવજોત કૌર સિધુના ખુલાસા પછી આ મામલે રાઘવ, પરિણીતિ અને પ્રિયંકા તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.