08 July, 2024 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શત્રુઘ્ન સિંહા
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં જ્યારથી લગ્ન થયાં છે ત્યારથી બન્નેને લઈને લોકો વિવિધ કમેન્ટ્સ કરે છે. તેમનાં લગ્નમાં સોનાક્ષીનો ભાઈ લવ સિંહા નહોતો ગયો એથી એને લઈને પણ લોકો ચર્ચા કરે છે. હવે સોનાક્ષીના ડૅડી શત્રુઘ્ન સિંહાએ પણ સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે પરિવાર વિરુદ્ધ કોઈ પણ બાબતને તેઓ સહન નહીં કરે. એ વિશે શત્રુઘ્ન સિંહા કહે છે, ‘અમે કુટુંબમાં મોટા-મોટા વિવાદ જોયા છે અને આ તો કંઈ નથી. એમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે પણ એક સાધારણ પરિવાર છીએ જેમના ઘરમાં લગ્નનો પ્રસંગ હતો. શું કામ અમારા પરિવારના લોકોને નાહક ટાર્ગેટ બનાવવામાં આવે છે? આવાં લગ્ન કાંઈ પહેલી વખત નથી થયાં. હું અહીં એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે મારા પરિવાર પર જે શાબ્દિક હુમલો કરવામાં આવે છે એને હું સાંખી નહીં લઉં. કેટલાક મુદ્દાઓને લઈને અમારી વચ્ચે મતભેદ હોય છે, પરંતુ આખરે તો અમે એક પરિવાર જ છીએ અને અમને કોઈ તોડી નહીં શકે.’