05 September, 2026 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હનુમાન અંશના ડિરેક્ટરની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ફિલ્મ જોવાની અપીલ
વિરાટ અને અનુષ્કા રિયલમાં નીમ કરૌલી બાબાનાં પરમ ભક્ત છે અને તેઓ અવારનવાર તેમના દરબારમાં આશીર્વાદ લેવા જાય છે. ‘હનુમાન અંશ’ પણ નીમ કરૌલી બાબાના જીવનથી પ્રેરિત હોવાથી ડિરેક્ટર ઇચ્છે છે કે આ દંપતી ફિલ્મ જુએ અને પોતાના વિચારો વ્યક્ત કરે.
માત્ર બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફળતાની બૉક્સ-ઑફિસ પર ચર્ચા છે. શરૂઆતમાં ધીમી ગતિએ આગળ વધેલી આ ફિલ્મ હવે પોતાના ચોથા સપ્તાહમાં કન્નડા સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટૉક્સિક’ કરતાં પણ વધુ દૈનિક કમાણી કરી રહી છે.
આ ફિલ્મની સફળતા વચ્ચે એના ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદીએ ખુલાસો કર્યો કે રિલીઝ પહેલાં બૉલીવુડમાંથી તેમને કોઈ ખાસ સહયોગ મળ્યો નહોતો, પણ ફિલ્મ સફળ થતાં જ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તેમને ફોન કરીને અભિનંદન પાઠવ્યાં હતાં.
પોતાની લાગણી વ્યક્ત કરતાં ડૉ. વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘ફિલ્મની સફળતા પાછળ સૌથી મોટો ફાળો દર્શકોનો રહ્યો છે. શરૂઆતમાં મોટા બજેટની ફિલ્મોને પ્રાથમિકતા મળતાં ‘હનુમાન અંશ’નાં સ્ક્રીન અને શોની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. મારી ફિલ્મના શો ૨૫૦થી ઘટીને માત્ર પચીસ રહી ગયા હતા. ખાસ કરીને PVR અને સિનેપૉલિસ જેવી મલ્ટિપ્લેક્સ ચેઇનોએ શરૂઆતમાં પ્રાઇમ લોકેશન પર ફિલ્મ બતાવવા અંગે શંકા વ્યક્ત કરી હતી. ફિલ્મ સારી ચાલવા લાગી ત્યાર બાદ ઘણા લોકોએ મને ફોન કરીને અભિનંદન આપ્યાં. હું તેમનાં નામ જાહેર કરવા નથી ઇચ્છતો. મને અભિનંદન આપનારાઓમાં મધુર ભંડારકર પણ હતા, જેમની પાસે મેં ક્યારેય મદદ માગી નહોતી. જોકે બાકીના લોકોનાં નામ એટલા માટે નથી કહેતો કારણ કે મેં તેમની પાસે સહયોગ માગ્યો હતો અને તેમણે મારી મદદ કરી નહોતી. તેઓ હવે માત્ર અભિનંદન આપી રહ્યા છે એટલે હું તેમનાં નામ લેવા માગતો નથી.’