19 April, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી
સુપરહિટ કૉમેડી ફ્રૅન્ચાઇઝ ‘હેરાફેરી’નો ત્રીજા ભાગ ‘હેરાફેરી 3’ માટે ફૅન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટી જોવા મળવાની હતી. જોકે ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. પહેલાં પરેશ રાવલે અચાનક પ્રોજેક્ટ છોડવાની જાહેરાત કરતાં વિવાદ થયો હતો. જોકે એનો ઉકેલ પણ આવી ગયો હતો. આ પછી ફિલ્મ કૉપીરાઇટ મુદ્દાને લઈને પણ કાનૂની સકંજામાં ફસાઈ ગઈ હતી જેના કારણે પ્રોજેક્ટ લાંબા સમયથી અટક્યો છે. હવે ફિલ્મના લીડ ઍક્ટર અક્ષય કુમારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ‘આ ફિલ્મ આગામી એક વર્ષ સુધી શરૂ થવાની સંભાવના નથી. ઘણા મુદ્દાઓ અને ઍગ્રીમેન્ટ્સને કારણે પ્રોજેક્ટ વારંવાર પાછળ ધકેલાઈ રહ્યો છે. જોકે ત્રણેય અભિનેતાઓ વચ્ચે કોઈ સમસ્યા નથી અને અમે સાથે કામ કરી જ રહ્યા છીએ. કેટલીક બાબતો એવી છે જે હું કૅમેરા સામે કહી શકતો નથી. જોકે મને વિશ્વાસ છે કે યોગ્ય સમય આવતાં ફિલ્મ ચોક્કસ બનશે.’