02 March, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
માર્ચ મહિનાની શરૂઆત થતાં, દેશમાં ઘણા મહત્ત્વના નિયમોમાં બદલાવ થયો છે. આ બદલાવ લોકોના રોજિંદા જીવન પર પણ અસર પાડશે. LPG સિલેન્ડરના નવા ભાવ, FD દર, UPI ચુકવણી જેવા અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ બદલાવો 1 માર્ચ, 2025થી અમલમાં આવ્યા છે.
સેબીએ નવો નિયમ લાવ્યો
આજકાલ મોટાભાગના લોકો શૅર બજારમાં રોકાણ કરી રહ્યા છે. જેમાં એક રીત મ્યુચ્યુઅલ ફંડ પણ છે. હવે મ્યુચ્યુઅલ ફંડ અંગે એક નવો નિયમ આવ્યો છે. સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) એ ફોલિયો અને ડીમેટ એકાઉન્ટ્સ માટે નોમિનેશન પ્રક્રિયામાં સુધારો કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. ૧ માર્ચ, ૨૦૨૫ થી અમલમાં આવેલા સુધારેલા નિયમો અનુસાર, સંપત્તિ ટ્રાન્સફર હવે સરળ બનાવવામાં આવ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે ફાયદા નીચે મુજબ છે.
જો, રોકાણકાર બીમાર પડે કે મૃત્યુ પામે તો આ ફેરફારો ખૂબ જ ઉપયોગી છે. રોકાણકારો હવે મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતા માટે 10 વ્યક્તિઓ નોમિનેટ કરી શકે છે. અઘોષિત સંપત્તિઓને રોકવા માટે સિંગલ-હોલ્ડર ખાતાઓ માટે નોમિની પ્રદાન કરવી ફરજિયાત રહેશે. આ સાથે, રોકાણકારોએ PAN, આધાર (છેલ્લા ચાર અંકો) અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર સહિત નોમિનીની વિગતો આપવાની રહેશે.
LPG સિલેન્ડરના ભાવમાં પણ વધારો થયો
તેલ કંપનીઓએ LPG સિલેન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. જોકે, કંપનીઓ દર મહિને આ વધારો કરે છે, આ વખતે કંઈ નવું નથી. દિલ્હી અને અન્ય રાજ્યોમાં કમર્શિયલ LPG સિલેન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં ૧૭૯૭ રૂપિયામાં મળતો ૧૯ કિલોનો કમર્શિયલ ગૅસ સિલેન્ડર હવે ૧૮૦૩ રૂપિયા થઈ ગયો છે.
ATF ના ભાવમાં ફેરફાર
દર મહિનાની જેમ, તેલ કંપનીઓ આ વખતે પણ ભાવમાં ફેરફાર કરશે. આ મહિને પણ, તેલ વિતરણ કંપનીઓ ઍર ટર્બાઇન ફ્યુઅલ (ATF) માં ફેરફાર કરી શકે છે. આ ભાવ વધારાની સીધી અસર હવાઈ મુસાફરી કરતા લોકોને થશે. જો ઍર ફ્યુલના ભાવ ઘટે તો નફો થશે અને જો તે વધે તો ખર્ચ વધશે.
એફડી વ્યાજ દરોમાં ફેરફાર
કેટલીક બૅન્ક 1 માર્ચથી તેમના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે. તાજેતરમાં, ઘણી બૅન્કોએ તેમના FD દરોમાં ફેરફાર કર્યા છે અને માર્ચ 2025 માં સમાન ફેરફારો જોવા મળી શકે છે.
UPI નિયમો બદલાશે
આજથી UPI વપરાશકર્તાઓ માટે વીમા પ્રીમિયમ ચૂકવવાનું સરળ બનશે. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) એ વીમા-ASBA ની નવી સુવિધા રજૂ કરી છે. આનાથી પૉલિસીધારકો વીમા ચુકવણી માટે ભંડોળ બ્લૉક કરી શકે છે, જેથી પૉલિસી સ્વીકાર્યા પછી સમયસર ચુકવણી સુનિશ્ચિત થાય. જો વીમા કંપની દરખાસ્તને નકારી કાઢે છે, તો બ્લૉક કરેલી રકમ અનબ્લૉક થઈ જશે.
કરદાતાઓ માટે રાહત
૧ માર્ચથી કર સંબંધિત ઘણા ફેરફારો થશે. કરદાતાઓને રાહત આપતા, ટૅક્સ સ્લૅબ અને ટીડીએસ મર્યાદામાં સુધારો થવાની શક્યતા છે.