14 April, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ શર્મા અને યુવરાજ સિંહ
વૃંદાવનમાં ગયા શુક્રવારે થયેલા ભયાનક યમુના બોટ-અકસ્માતે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવાનું સ્વપ્ન જોતા એક ઊભરતા સ્ટારને હંમેશાં માટે મૌન કરી દીધો છે. પંજાબના લુધિયાણા જિલ્લાના રહેવાસી ૧૯ વર્ષના રિષભ શર્માના મૃત્યુએ માત્ર તેના પરિવારને જ નહીં, પરંતુ રમતગમતની દુનિયાને પણ આઘાત પહોંચાડ્યો છે. તે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ઍકૅડેમીમાં તાલીમ લઈ રહ્યો હતો. ટૂંક સમયમાં તે ઉચ્ચતમ સ્તરે પંજાબનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર થઈ ગયો. ક્રિકેટ પ્રત્યેનું તેનું સમર્પણ એટલું હતું કે તે ક્યારેય એક પણ પ્રૅક્ટિસ-સેશન ચૂક્યો નહોતો. લાઇફ જૅકેટના અભાવ અને ઓવરલોડિંગને કારણે થયેલા આ અકસ્માતને કારણે ડૂબેલા રિષભ શર્માની લાશ ૩ દિવસ બાદ મળી હતી.