20 April, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્માએ T20 મુંબઈ લીગની ત્રીજી સીઝનની ટ્રોફી લૉન્ચ કરી
ગઈ કાલે ભારતીય ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ-ટીમના કૅપ્ટન રોહિત શર્માની હાજરીમાં T20 મુંબઈ લીગની ત્રીજી સીઝનની ટ્રોફી લૉન્ચ કરવામાં આવી હતી. IPL 2025ના સમાપ્ત થયા બાદ રમાનારી આ ટુર્નામેન્ટ માટે મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ રોહિત શર્માને સત્તાવાર ઍમ્બૅસૅડર જાહેર કર્યો હતો. ૨૦૧૮ અને ૨૦૧૯માં રમાયેલી બે સીઝન બાદ આ સીઝનમાં આઠ ટીમ વચ્ચે રસાકસીનો જંગ જામશે.
આ ઇવેન્ટમાં રોહિત શર્માએ કહ્યું હતું કે ‘આ એક મોટું પ્લૅટફૉર્મ છે. મને યાદ છે કે છેલ્લી બે સીઝનમાં કેટલાક પ્લેયર IPL ટીમો માટે રમ્યા હતા અને એમાંથી કેટલાક હવે ભારત માટે પણ રમી રહ્યા છે. પ્લૅટફૉર્મ મેળવવા માટે તમારે ખૂબ જ નસીબદાર હોવું જોઈએ. ભારતમાં અને દુનિયાભરમાં ઘણાબધા પ્લેયર્સ છે જેમની પાસે ક્ષમતા છે, પણ તેમની પાસે યોગ્ય પ્લૅટફૉર્મ નથી. મને લાગે છે કે મુંબઈ ક્રિકેટ બધા યુવા પ્લેયર્સને પ્લૅટફૉર્મ આપવામાં ખૂબ સારું કામ કરી રહ્યું છે.’