23 March, 2025 11:18 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશની એક સ્થાનિક ટુર્નામેન્ટમાં હરભજન સિંહે આપી હતી હાજરી.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝનમાં સ્પિનર્સ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે. T20 ક્રિકેટમાં જો સ્પિનર્સ મૅચની વચ્ચેની ઓવરોમાં આવે અને વિકેટ લે તો તે હરીફ ટીમને મુશ્કેલીમાં મૂકે છે.
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ સ્પિન બોલરોના વર્તમાન ઍટિટ્યુડ વિશે વાત કરતાં કહે છે, ‘મને એ કહેતાં ખૂબ જ દુઃખ થાય છે કે IPL અને T20 ક્રિકેટમાં સ્પિનરો ફાસ્ટ બોલરોની જેમ બોલિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ બૉલ ફેરવી રહ્યા નથી અને અટૅક પણ કરી રહ્યા નથી. તેમનો વિકેટ લેવાનો ઇરાદો હોય એવું લાગતું નથી. સ્પિનરે થોડું બહાદુર હોવું જોઈએ અને તક ઝડપી લેવી જોઈએ. તેમણે બૉલને સ્પિન કરવો જોઈએ અને થોડી ફ્લાઇટેડ બોલિંગ કરવી જોઈએ. જો જોખમ નહીં લો તો તમે મૅચમાં કેવી રીતે ટકી રહેશો?’
હરભજન સિંહે બૉલ પર લાળ લગાડવાના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું કે ‘બોલર્સ ફરીથી લાળનો ઉપયોગ કરી શકે છે એ સારી વાત છે. ટૂંક સમયમાં આપણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પણ આ જોઈશું, કારણ કે બૉલને લાળથી ચમકાવવો સરળ છે. એનાથી ઝડપી બોલરોને સ્વિંગ અને સ્પિનરોને ડ્રિફ્ટ મળે છે.’