10 May, 2026 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેણુગોપાલ રાવ
કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે શુક્રવારે દિલ્હી કૅપિટલ્સ સાવ આસાનીથી ૮ વિકેટે હારી ગયું હતું. સીઝનમી પ્રથમ બન્ને મૅચ જીતીને સૉલિડ શરૂઆત કર્યા બાદ દિલ્હી ફસડાઈ પડ્યું છે અને છેલ્લી ૯ મૅચમાંથી સાતમાં હારીને પૉઇન્ટ-ટેબલમાં આઠમાં ક્રમાંકે છે અને એની -૧.૧૫૪ જેવા સૌથી ખરાબ રન-રેટને લીધે એ પ્લે-ઑફની રેસમાંથી ઑલમોસ્ટ આઉટ થઈ ગયું છે. દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે પણ મૅચ બાદ નેકસ્ટ સીઝનની તૈયાર શરૂ કરવાની વાત કરીને આ સીઝનમાં તેમની સફર સમાપ્ત થઈ ગઈ હોવાનો સ્વીકાર કરી લીધો હતો.
ગઈ સીઝન સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ચૅમ્પિયન બન્યા બાદ હવે દિલ્હી અને પંજાબની ટીમ જ બાકી છે જેમણે હજુ સધી IPLની ટ્રોફી નથી જીતી. આ વાતનું દુઃખ ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલ દિલ્હીની ટીમના ડિરેક્ટર ઑફ ક્રિકેટ વેણુગોપાલ રાવના વક્તવ્યમાં સ્પષ્ટ વર્તાતું હતું. દિલ્હી અત્યાર સુધી એક જ વાર, ૨૦૨૦માં ફાઇનલ સુધી પહોંચ્યું છે. એ વખતે એનો મુંબઈ સામે પરાજય થયો હતો.
વધુ એક સીઝનની નિષ્ફળતાનું દુઃખ વ્યક્ત કરતાં વેણુગોપાલ રાવે કહ્યું હતું કે ‘સ્વાભાવિક છે, ૧૮ વર્ષ થઈ ગયાં આ ટુર્નામેન્ટમાં. ખૂબ જ દુઃખદાયક છે. હું જ્યારે રમતો હતો ત્યારે હંમેશાં જીતવા માગતો હતો, પણ હવે ઍડ્મિનિસ્ટ્રેટિવ અને કોચિંગના રોલમાં હું રોજેરોજ ઘણું બધું શીખી રહ્યો છું.’
બે જીત સાથે સારી શરૂઆત થયા બાદ ટીમના બેહાલ થયા એ વિશે તેમણે કહ્યું હતું કે ‘આ માટે કોઈ એક વિભાગને જવાબદાર ઠેરવી શકાય નહીં. અલગ-અલગ મૅચોમાં બૅટિંગ અને બોલિંગ બન્ને વિભાગોમાં સાતત્યનો અભાવ જોવા મળ્યો છે. ટીમ મૅચની મહત્ત્વની પળોને કબજે કરવામાં નિષ્ફળ રહી છે. ખાસ કરીને બૅટિંગ-યુનિટ અલગ-અલગ પરિસ્થિતિઓમાં અનુકૂળ થઈ શક્યું નથી. કુલદીપ યાદવ અને અક્ષર પટેલ જેવા મુખ્ય અને અનુભવી સ્પિનરોનું એકસાથે ફૉર્મમાં ન હોવું પણ ટીમ માટે નુકસાનકારક સાબિત થયું છે. હવે બાકીની ત્રણ મૅચમાં ભવિષ્યનો વિચાર કરીને અમે નવા ખેલાડીઓને અજમાવવા અંગે વિચારીશું.’