Sports Update : ૧૨૮૦ કિલોમીટરનું સાઇક્લિંગ કરીને મુંબઈ પહોંચેલા આ જબરા ફૅનને મળ્યો સૂર્યકુમાર યાદવ

01 September, 2026 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂર્યકુમાર યાદવના જબરા ફૅન નીતિને ઉત્તર પ્રદેશથી ૧૨૮૦ કિમી સાઇકલ ચલાવી મુંબઈ પહોંચીને પોતાના ફેવરિટ ક્રિકેટરને મળવાનું સપનું પૂરું કર્યું. સૂર્યાએ તેને ઑટોગ્રાફવાળી જર્સી પણ ભેટ આપી.

૧૨૮૦ કિલોમીટરનું સાઇક્લિંગ કરીને મુંબઈ પહોંચેલા આ જબરા ફૅનને મળ્યો સૂર્યકુમાર યાદવ

ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવના એક જબરા ફૅનનો ફોટો વાઇરલ થયો છે. નીતિન નામનો એક ક્રિકેટ-ફૅન ઉત્તર પ્રદેશથી ૧૨૮૦ કિલોમીટરનું અંતર સાઇકલ પર કાપીને 
મુંબઈ પહોંચ્યો હતો. આ સંઘર્ષમય યાત્રાના અંતે તેને સૂર્યકુમાર યાદવ સાથે મળવાની તક મળી અને એક ઑટોગ્રાફવાળી જર્સી પણ મળી હતી. તેની સાઇકલ પર સૂર્યાનો વર્લ્ડ કપ ટ્રોફી સાથેનો ફોટો પણ હતો. 

હિટમૅનના ડેબ્યુ ટીવી-શોનું નામ હશે ફૅમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા

સ્ટાર ભારતીય ક્રિકેટર રોહિત શર્મા ટેલિવિઝન પર ડેબ્યુ કરવા માટે તૈયાર છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાએ ગઈ કાલે રોહિત શર્માના ડેબ્યુ ટીવી-શોનું ૩૦ સેકન્ડનું ટીઝર શૅર કર્યું હતું. હિટમૅનના ડેબ્યુ ટીવી-શોનું નામ ફૅમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા રાખવામાં આવ્યું છે. 
૩૯ વર્ષના રોહિત શર્માનો આ મનોરંજક ફૅમિલી શૉ આગામી ૧૯ સપ્ટેમ્બરથી ટીવી પર ટેલિકાસ્ટ થવાનો શરૂ થશે. રોહિત શર્મા હાલમાં ભારત માટે વન-ડે ફૉર્મેટ રમે છે અને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સમાં મુખ્ય બૅટરની ભૂમિકા ભજવે છે. 

એમ.એસ. ધોની અને CSK વચ્ચે કોઈ મતભેદ નથી: CEO કાસી વિશ્વનાથન

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ફ્રૅન્ચાઇઝીમાં ૧૮% થી ૨૫% હિસ્સો માગ્યો હોવાના અહેવાલો પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ પોતાનું મૌન તોડ્યું છે. આવા અહેવાલોને ટીમ-મૅનેજમેન્ટે સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. 
ચેન્નઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથને કહ્યું હતું કે આ અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. IPL 2027માં ધોનીના ભવિષ્ય વિશે વિશ્વનાથને કહ્યું હતું કે ધોનીએ હજુ સુધી એવું કહ્યું નથી કે તે રમશે નહીં. અગાઉ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટીમમાં હિસ્સેદારી અંગેની વાટાઘાટો નિષ્ફળ ગયા પછી ધોનીના CSK સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

IPLનો ઇમ્પૅક્ટ પ્લેયર નિયમ ફરીથી ચર્ચામાં, ફ્રૅન્ચાઇઝીઓ પાસેથી ફીડબૅક માગ્યું ક્રિકેટ બોર્ડે

ભારતીય ક્રિકેટ બોર્ડે સૌથી ચર્ચિત ઇમ્પૅક્ટ પ્લેયર નિયમ પર IPL ફ્રૅન્ચાઇઝીઓ પાસેથી પ્રતિસાદ માગ્યો છે. ફ્રૅન્ચાઇઝીઓને બારમા ખેલાડી સાથે સંકળાયેલા આ વિવાદાસ્પદ નિયમ પર તેમનાં મંતવ્યો શેર કરવા માટે ગઈ કાલ સુધીનો સમય આપ્યો હતો. 
આ  ઇમ્પૅક્ટ પ્લેયર નિયમે લીગમાં વિભાજિત મંતવ્યો પેદા કર્યાં છે, ખાસ કરીને છેલ્લી સીઝન પછી. જેમાં અસંખ્ય ઉચ્ચ સ્કોરિંગ મૅચો જોવા મળી હતી અને બોલરોની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શુભમન ગિલ જેવા ઘણા અગ્રણી ખેલાડીઓએ ખુલ્લેઆમ આ નિયમનો વિરોધ કરી ચૂક્યા છે.

દિલ્હી પ્રીમિયર લીગમાં ચૅમ્પિયન બની શિખર ધવનની માલિકીની ટીમ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે દિલ્હી પ્રીમિયર લીગ 2026ની ફાઇનલ મૅચ રમાઈ હતી. સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ સામે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે સાત વિકેટે જીત નોંધાવીને ટાઇટલ જીત્યું હતું. ૨૦૨૪ની પહેલી સીઝનમાં ઈસ્ટ દિલ્હી રાઇડર્સ અને ૨૦૨૫માં બીજી સીઝનમાં વેસ્ટ દિલ્હી લાયન્સ ચૅમ્પિયન બન્યું હતું. 
દિલ્હી પ્રીમિયર લીગ 2026ની ફાઇનલમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે ૮ વિકેટ ગુમાવીને ૧૮૨ રન કર્યા હતા. જવાબમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે ૧૮.૨ ઓવરમાં ત્રણ વિકેટે ૧૮૬ રન કરીને ૧૮૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સના માલિક તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન પણ ખેલાડીઓ સાથે મેદાન પર ઉજવણીમાં જોડાયો હતો. 

શેર-એ-પંજાબ T20 લીગની પહેલી જ મૅચમાં ૨૫૯ રનનો ટાર્ગેટ ચેઝ થયો 

અમૃતસર સૂરમાસના કૅપ્ટન અભિષેક શર્માની મોહાલી કિંગ્સ સામેની ૭૭ રનની ઇનિંગ્સ એળે ગઈ

મોહાલીમાં રવિવારે શેર-એ-પંજાબ T20 લીગની પહેલી સીઝનનો શાનદાર પ્રારંભ થયો હતો. રમણદીપ સિંહની મોહાલી કિંગ્સ ટીમે અભિષેક શર્માની ટીમ અમૃતસર સૂરમાસ સામે પાંચ વિકેટે જીત નોંધાવી હતી. અમૃતસરની ટીમ ૧૯.૫ ઓવરમાં ૨૫૮ રન કરીને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં મોહાલીની ટીમે ૧૯.૩ ઓવરમાં ૨૬૨ રન કરીને પાંચ વિકેટે વિજયી શરૂઆત કરી હતી. 
અમૃતસરના કૅપ્ટન અભિષેક શર્માએ ઓપનિંગ દરમ્યાન ૨૯૬.૧૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૬ ફોર અને સાત સિક્સની મદદથી ૨૬ બૉલમાં ૭૭ રન ઝૂડી દીધા હતા. જોકે એની ટીમે છેલ્લી સાત વિકેટ ૪૭ રનની અંદર ગુમાવી દીધી હતી. મોહાલીના સ્પિનર તેજપ્રીત સિંહે ૩૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. 
મોહાલી માટે ત્રીજા ક્રમે બૅટિંગ કરનાર અનમોલપ્રીત સિંહે ૨૬૦.૭૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૦ ફોર અને ૧૨ સિક્સની મદદથી ૫૧ બૉલમાં ૧૩૩ રન કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. કૅપ્ટન રમણદીપ સિંહે ૪૦ બૉલમાં ૯ ફોર અને એક સિક્સના સહારે અણનમ ૬૯ રન કર્યા હતા. અમૃતસરના સ્ટાર પ્લેયર્સ અભિષેક શર્મા અને નમન ધીરે એક-એક વિકેટ લીધી હતી.

 

 

suryakumar yadav uttar pradesh mumbai cricket news team india indian cricket team sports news sports