31 May, 2026 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક્સ-રૅ
પાયધુનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મોહમ્મદઅલી રોડ પરની નૂર હૉસ્પિટલમાં ૧૦ મેએ એક મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી. ડિસ્ચાર્જ પછી તેને તાવ આવવા માંડ્યો હતો અને પેટમા પણ દુખાવો શરૂ થઈ ગયો. એ પછી ફરી એક વાર તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પેટમાં દુખાવો થવાનું કારણ શોધવા માટે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કૅન કરવામાં આવ્યું હતું. એ ટેસ્ટમાં ખબર પડી હતી કે તેના ઑપરેશન વખતે વાપરવામાં આવેલું ગ્લવ તેના પેટમાં જ રહી ગયું હતું. એથી હવે એ ગ્લવ કાઢવા માટે ફરી ઑપરેશન કરવામાં આવશે.
મહિલાના પતિએ આ બાબતે કહ્યું હતું કે ‘CT સ્કૅનનો રિપોર્ટ આવી ગયો, પણ નૂર હૉસ્પિટલના ડૉક્ટર અમને એ રિપોર્ટ દેખાડી નહોતા રહ્યા. એ રિપોર્ટમાં બતાવાયું હતું કે પેટમાં એક ગ્લવ છે. આ જાણ થતાં મેં આ સંદર્ભે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. પોલીસે કહ્યું કે પહેલાં તમે તમારી પત્નીનું ઑપરેશન કરાવીને તેને સેફ કરી લો. ઑપરેશનમાં પેટમાંથી જે પણ નીકળશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવાની તમને ખાતરી આપીએ છીએ.’