26 May, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ફક્ત પેટ્રોલ, ડીઝલ અને ગૅસ જ નહીં પરંતુ ભારતીય રસોડામાં પણ પડી રહી છે. દરિયાઈ માલ અને ક્રૂડ ઑઇલના વધતા ભાવને કારણે કઠોળની આયાત મોંઘી થઈ છે. આનાથી સ્થાનિક બજારમાં તુવેર, ચણા અને મસૂર જેવાં કઠોળના ભાવમાં વધારો થયો છે.
વેપારીઓના મતે તુવેરના ભાવમાં ગયા મહિનામાં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. જથ્થાબંધ બજારમાં તુવેરના ભાવમાં આશરે ૧૨ ટકાનો વધારો થયો છે, જે ૯૦૦૦થી ૧૧,૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વચ્ચે પહોંચી ગયો છે. કાળા ચણાના ભાવમાં પણ ૫૦૦થી ૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે. બીજી તરફ માર્ચથી મસૂરના ભાવમાં આશરે ૧૦ ટકાનો વધારો થયો છે.
વધારા પાછળનાં કારણો
નિષ્ણાતોના કહેવા મુજબ આ વધારા પાછળનું મુખ્ય કારણ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ક્રૂડ ઑઇલના ભાવમાં થયેલો વધારો છે. આનાથી નૂર અને વીમા-કવરેજનો ખર્ચ વધ્યો છે, જેને કારણે અન્ય માર્ગો દ્વારા આયાત અને નિકાસ પર અસર પડી છે.
ભારત એના કઠોળનો મોટો હિસ્સો મ્યાનમાર, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોમાંથી આયાત કરે છે. મોટા ભાગનું કઠોળ સીધું હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આયાત કરવામાં આવતું નથી, પરંતુ આ ક્ષેત્રમાં વધતા તનાવને કારણે વૈશ્વિક શિપિંગ અને કન્ટેનર નેટવર્ક્સ પર અસર પડી છે.
જોખમ-ફી વસૂલતી કંપનીઓ
તેલના ભાવમાં વધારાને કારણે દરિયાઈ માલસામાન અને વીમાના ખર્ચમાં પણ વધારો થયો છે. ઘણી શિપિંગ કંપનીઓ પશ્ચિમ એશિયાના માર્ગ પર વધારાની રિસ્ક-ફી વસૂલ કરી રહી છે. આનાથી કઠોળની આયાતનો ખર્ચ વધ્યો છે, જેને કારણે સ્થાનિક બજારમાં ભાવ પર અસર પડી છે.
નિકાસ ધીમી પડતાં ચોખાના ભાવ ઘટ્યા
ચોખાની નિકાસ ઘટવાને કારણે એના ભાવમાં ઘટાડો થયો છે. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખાનો નિકાસકાર છે અને પશ્ચિમ એશિયાના દેશોમાં મોટા પ્રમાણમાં બાસમતી અને બિન-બાસમતી ચોખા મોકલે છે. પશ્ચિમ એશિયા જનારાં જહાજો માટે વીમા અને નૂરખર્ચમાં પંદરથી પચીસ ટકાનો વધારો થયો છે. આનાથી ઘણા નિકાસસોદા મોંઘા થયા છે અને નવા ઑર્ડર ધીમા પડ્યા છે. ઈરાન, ઇરાક, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને સાઉદી અરેબિયામાં ચોખાની નિકાસ ખાસ કરીને પ્રભાવિત થઈ છે. પરિણામે સ્થાનિક બજારમાં ચોખાના ભાવમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો છે.
પશ્ચિમ એશિયામાં તનાવને કારણે વિશ્વભરમાં ક્રૂડ તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે ત્યારે કેન્દ્ર સરકારે ગઈ કાલે સંસદીય પૅનલને ખાતરી આપી હતી કે ભારત કોઈ પણ વિક્ષેપનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને જો સંઘર્ષની પરિસ્થિતિ હળવી થાય તો પુરવઠામાં સામાન્ય પરિસ્થિતિ ચારથી પાંચ દિવસમાં પાછી આવશે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સંસદીય સ્થાયી સમિતિની લગભગ બે કલાક લાંબી બેઠક દરમ્યાન આ ખાતરી આપવામાં આવી હતી. એમાં પશ્ચિમ એશિયાની કટોકટીથી ઉદ્ભવતી પરિસ્થિતિ પર બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.