20 September, 2026 02:13 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
કૈલાશ ચંદ મંગલાને વિશાખાપટનમની પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
૨૦૧૯ અને ૨૦૨૪ની વચ્ચે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (TTD)ને ૨૩૦ કરોડ રૂપિયાની કિંમતનું ભેળસેળયુક્ત અને કેમિકલની મદદથી તૈયાર કરવામાં આવેલું ઘી પૂરું પાડવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ સુકૃતિ ફૂડ્સના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની હૈદરાબાદસ્થિત તેમની ઑફિસમાંથી ધરપકડ કરી છે. કૈલાશ ચંદ મંગલાને વિશાખાપટનમની પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
આ કેસમાં EDની એન્ટ્રી એટલા માટે થઈ છે કારણ કે આ છેતરપિંડીમાં ઘણી શેલ કંપનીઓના માધ્યમથી નાણાંની હેરફેર કરવામાં આવી હતી. EDનો આરોપ છે કે TTDને સપ્લાય કરવામાં આવેલા શુદ્ધ ઘીને રિફાઇન્ડ પામ ઑઇલ, પામોલિન, પામ કર્નલ ઑઇલ અને કેમિકલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. એને અસલી ઘી જેવું બતાવવા માટે MG-90, મોનોગ્લિસરાઇડ્સ અને ઍસિટિક ઍસિડ એસ્ટર જેવાં ખતરનાક કેમિકલોનો ઉપયોગ થતો હતો.
આ કેસમાં EDએ મની-લૉન્ડરિંગને લગતી તપાસ આદરી છે. ૨૩૦ કરોડ રૂપિયાના ઘીના પુરવઠામાં કૈલાસ ચંદ મંગલાની કંપની સુકૃતિ ફૂડ્સે એની ફૅક્ટરીમાં ૯૬ કરોડ રૂપિયાની કિંમતનું નકલી ઘી તૈયાર કર્યું હતું. આ બનાવટી ઘીને TTD સુધી પહોંચાડવા માટે મંગલાએ શ્રી વૈષ્ણવી ડેરી સ્પેશ્યલિટીઝ, માલ ગંગા મિલ્ક ઍન્ડ ઍગ્રો પ્રોડક્ટ્સ અને એ. આર. ડેરી ફૂડ્સ જેવી શેલ કંપનીઓના નેટવર્ક અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.