18 March, 2026 09:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
દિલ્હીના પાલમ વિસ્તારમાં બુધવારે સવારે દક્ષિણ-પશ્ચિમ એક બહુમાળી ઇમારતમાં લાગેલી આગની ઘટનાની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં, એક જ પરિવારના નવ સભ્યો, જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે તેઓએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા. આ ઘટના સવારે 6:40 વાગ્યાની આસપાસ પાલમ મેટ્રો સ્ટેશન નજીક શ્રી રામ ચોક માર્કેટ વિસ્તારમાં આવેલી પાંચ માળની ઇમારતમાં બની હતી.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં, ઇમારતની અંદર ફસાયેલા બે થી ત્રણ લોકો ધુમાડા વચ્ચે મદદ માટે બૂમો પાડતા જોઈ શકાય છે. ફાયર ફાઇટર તેમને બચાવવા માટે સીડીનો ઉપયોગ કરતા દેખાય છે. અહેવાલો અનુસાર, ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક લિફ્ટ ઘટનાસ્થળે કાર્યરત નહોતી. આ વીડિયો આમ આદમી પાર્ટી (AAP) ના ભૂતપૂર્વ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શૅર કર્યો હતો. તેમણે કહ્યું, "પરિવારના સભ્યો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા અને તેમને બચાવી શકાયા હોત, પરંતુ ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક લિફ્ટ કામ કરી રહી ન હતી." તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ઘટના દરમિયાન, એક પિતાએ તેની છ મહિનાની બાળકી પુત્રીને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી અને પછી પોતે નીચે કૂદી પડ્યો. બન્નેને ગંભીર ઇજાઓ થઈ છે.
ઇમારતમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાં અને કોસ્મેટિક્સના શોરૂમ હતા, જ્યારે બીજા અને ત્રીજા માળે માલિક, રાજેન્દ્ર કશ્યપ અને તેમના પરિવારનું ઘર હતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું. સવાર વહેલી સવાર હોવાથી, મોટાભાગના રહેવાસીઓ સૂઈ રહ્યા હતા; પરિણામે, આગ ઝડપથી ફેલાઈ ગઈ. જેના કારણે અંદર ફસાયેલા લોકોને બચવાની કોઈ તક મળી નહીં.
પાલમ પોલીસ સ્ટેશનને સવારે 7:04 વાગ્યાની આસપાસ આગ અંગે માહિતી મળી, જેના પગલે 30 ફાયર ટૅન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા. બચાવ કામગીરી દરમિયાન, ત્રણ બાળકો સહિત સાત ઘાયલ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા અને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જે બે વ્યક્તિઓએ ઇમારતમાંથી કૂદી પડ્યા હતા તેમને પણ તબીબી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં પ્રવેશ (૩૩), કમલ (૩૯), આશુ (૩૫), લાડો (૭૦), હિમાંશી (૨૨), દીપિકા (૨૮) અને ત્રણ નાની છોકરીઓ (૧૫ અને ૬ વર્ષની)નો સમાવેશ થાય છે. ઘાયલોમાં અનિલ (૩૨), બે વર્ષની છોકરી અને સચિન (૨૯)નો સમાવેશ થાય છે. સચિનના શરીરનો ૨૫ ટકા ભાગ બળી ગયો હોવાથી તેને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના પર શોક વ્યક્ત કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. બે લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની સહાય આપવાની જાહેરાત કરી છે.