નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧ ફુટ ઊંચી ગોલ્ડન મૂર્તિનું અનાવરણ થયું

28 March, 2026 10:27 AM IST  |  Nathdwara | Gujarati Mid-day Correspondent

હનુમાનજીની મૂર્તિ પર ગોલ્ડન રંગ કરવામાં આવ્યો છે જે થાઇલૅન્ડમાં જોવા મળતી મૂર્તિઓ જેવો છે

આ પ્રતિમા સંકટ મોચન હનુમાનજીની વિનમ્ર મુદ્રામાં છે જે શ્રીનાથજીના મંદિર તરફ મુખ કરીને ઊભેલા છે

રાજસ્થાનના શ્રીનાથજીના ધામ નાથદ્વારામાં રામનવમીના પર્વ પર હનુમાનજીની ૧૩૧ ફુટ ઊંચી ભવ્ય ગોલ્ડન પ્રતિમાનું ઉદ્ઘાટન થયું હતું. નાથદ્વારામાં આવેલા ૫૦૦ ફુટ ઊંચા ગિરિરાજ પર્વત પર આ મૂર્તિનું અનાવરણ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના રાકેશજી અને ગોસ્વામી વિશાલબાબા દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૩૧ ફુટની મૂર્તિ બનાવવાનું કામ મૂર્તિકાર નરેશ કુમાવતે કર્યું હતું અને એ માટે તેમને ત્રણ વર્ષ લાગ્યાં હતાં. આ પ્રતિમા સંકટ મોચન હનુમાનજીની વિનમ્ર મુદ્રામાં છે જે શ્રીનાથજીના મંદિર તરફ મુખ કરીને ઊભેલા છે. આ પ્રતિમાને શ્રીજી કે હનુમાનજી નામ અપાયું છે અને એ નાથદ્વારામાં પ્રવેશતાં જ જોવા મળે એટલી ઊંચી છે.

હનુમાનજીની મૂર્તિ પર ગોલ્ડન રંગ કરવામાં આવ્યો છે જે થાઇલૅન્ડમાં જોવા મળતી મૂર્તિઓ જેવો છે. આ રંગ પણ ખાસ થાઇલૅન્ડથી મગાવવામાં આવ્યો હતો. એની ખાસિયત એ છે કે તડકો હોય કે વરસાદ, આ રંગ ૪૦થી ૫૦ વર્ષ સુધી મૂર્તિ પર આવો જ ચમકશે.

એમાં ૧૧૫ ટન સ્ટીલ અને ૪૦ ટન ગ્લાસ રીઇન્ફોર્સ્ડ ફાઇબરનો ઉપયોગ થયો છે. આ મૂર્તિ ઉપરથી જેટલી મજબૂત છે એટલો જ ઊંડો એનો પાયો છે. આ મૂર્તિનું નિર્માણ ગિરીશ શાહ નામના ભક્તે કરાવ્યું છે. આ મૂર્તિનાં દર્શન માટે કોઈ ચાર્જ નથી.

rajasthan national news news