ટ્રેનના લોકો પાઇલટ્સને ડ્યુટી વખતે ટૉઇલેટ અને લંચ-બ્રેક આપવાનો રેલવેનો ઇનકાર

13 April, 2025 08:19 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઑલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ અસોસિએશને રેલવે બોર્ડના આ નિર્ણયની નિંદા કરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઇન્ડિયન રેલવેએ લોકો પાઇલટ્સ (એન્જિન-ડ્રાઇવરો)ની લંચ અને ટૉઇલેટ-બ્રેકની માગણીને ફગાવી દીધી છે. આ માગણી વિશે રેલવેએ એક હાઈ લેવલ કમિટીનું ગઠન કર્યું હતું અને આ કમિટીએ સૂચન કર્યું હતું કે લોકો પાઇલટ્સને લંચ અને ટૉઇલેટ-બ્રેક આપવા માટે નિયમ બનાવવો વ્યવહારિક રીતે સંભવ નથી. રેલવે બોર્ડે કમિટીનાં સૂચનો પર સહમતી આપી છે. આ નિર્ણય દેશભરમાં વધતી જતી રેલવે-દુર્ઘટનાઓ વચ્ચે લેવામાં આવ્યો છે. રેલવે-અકસ્માતોને માનવીય ભૂલ ગણાવવામાં આવે છે.

ઑલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ અસોસિએશને રેલવે બોર્ડના આ નિર્ણયની નિંદા કરી છે. એણે કહ્યું છે કે લોકોમોટિવમાં ટૉઇલેટ હોતાં નથી એથી નૅચરલ કૉલ માટે પાઇલટ્સને બ્રેક આપવો જરૂરી બને છે.

આ વિશે રેલવેના અધિકારીને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે હવે લોકોમોટિવમાં પાઇલટ્સ માટે ટૉઇલેટની સુવિધા શરૂ કરવામાં આવી છે. પાઇલટ્સ યાત્રા દરમ્યાન લંચ અને ટૉઇલેટ બ્રેક માગે છે જે દુનિયામાં ક્યાંય થતું નથી.

national news india indian railways indian government