05 March, 2026 10:22 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ને રશિયા પાસેથી પાંચ S-400 ઍર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સંરક્ષણ બોર્ડની મંજૂરી મળી છે. ઑપરેશન સિંદૂર દરમ્યાન S-400 સિસ્ટમે પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. ૨૦૨૫ની ૧૦ મેએ વહેલી સવારે ભારતીય બ્રહ્મોસના હવાઈ હુમલામાં રાવલપિંડીના ચકલાલા ઍરબેઝ ખાતે પાકિસ્તાન ઍર ફોર્સ (PAF)ના નૉર્ધર્ન કમાન્ડ અને કન્ટ્રોલ નેટવર્કનો નાશ થયો હતો. ત્યાર બાદ પાકિસ્તાને તરત જ શાંતિ માટે અરજી કરી હતી. ભારત પાસે હાલમાં ૩ S-400 સિસ્ટમ્સ છે અને આ વર્ષે ભારતીય સશસ્ત્ર દળોમાં અન્ય બે સિસ્ટમ્સનો સમાવેશ થવાની અપેક્ષા છે.
આજે T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થશે. મૅચ જોવા જનારા લોકો માટે મેટ્રો 3 મધરાત સુધી એક્સ્ટ્રા ટ્રેન દોડાવશે. રાતે ૧૧.૫૯ વાગ્યા સુધી મેટ્રો 3 કાર્યરત રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.
મુંબઈમાં મંગળવારે ધુળેટી મનાવવામાં આવી હતી, જ્યારે દેશના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે ધુળેટીનો રંગોત્સવ ઊજવાયો હતો. ગઈ કાલે અમદાવાદના કાળુપુર સ્વામીનારાયણ મંદિરમાં હજારો ભક્તો ગુલાલની છોળો ઉડાડીને ધુળેટી રમ્યા હતા. ઉત્તર ભારતમાં દિલ્હીમાં અને આગરાના તાજમહલમાં વિદેશી નાગરિકોએ રંગોના ઉત્સવને માણ્યો હતો.
શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીનાં આજ્ઞાનુવર્તિની ધન-મંજુલ મ.સા.નાં સુશિષ્યા શ્રી તત્ત્વજ્ઞાકુમારી મહાસતીજી-(લાકડિયા) દીક્ષાપર્યાય ૪૨ વર્ષ, ઉંમર વર્ષ ૬૪ બુધવારે ચોથી માર્ચે અજરામર વૈયાવચ્ચ કેન્દ્ર-ઘાટકોપર મુંબઈ મુકામે આજીવન અનશનવ્રત આરાધીને ૧૧મા ઉપવાસે સવારે ૦૯.૫૦ મિનિટે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં.