કૉન્ગ્રેસ પરોપજીવી અને પાછળથી ઘા કરનારો પક્ષ- DMK સાથે છેડો ફાડવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આકરા પ્રહાર

11 May, 2026 07:22 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને કૉન્ગ્રેસને પરોપજીવી અને પાછળથી ઘા કરનારો પક્ષ ગણાવીને એના જૂના સાથી પક્ષ દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) સાથેના વિશ્વાસઘાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.

નરેન્દ્ર મોદી

તામિલનાડુના નવા મુખ્ય પ્રધાન તરીકે વિજયે શપથ લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યાં હતાં, પરંતુ સાથે જ વિજયના સાથી પક્ષ કૉન્ગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડા પ્રધાને કૉન્ગ્રેસને પરોપજીવી અને પાછળથી ઘા કરનારો પક્ષ ગણાવીને એના જૂના સાથી પક્ષ દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) સાથેના વિશ્વાસઘાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘તામિલનાડુની સ્થિતિ જુઓ. ૨૫-૩૦ વર્ષ સુધી જે DMKએ કૉન્ગ્રેસને દરેક કટોકટીમાંથી બહાર કાઢી અને ૨૦૧૪ પહેલાં ૧૦ વર્ષ સુધી યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકાર ટકાવી રાખવામાં મદદ કરી એ જ DMKને કૉન્ગ્રેસે સત્તાની લાલચમાં પ્રથમ તક મળતાં જ દગો દીધો છે. જે પક્ષે હંમેશાં કૉન્ગ્રેસનું ભલું વિચાર્યું એની સાથે જ રાજકીય પવન બદલાતાં વિશ્વાસઘાત કરવામાં આવ્યો.’

national news narendra modi indian government tamil nadu political news indian politics congress dmk