03 May, 2026 07:07 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રસૂન જોશી
ગીતકાર અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પ્રસૂન જોશીની માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારતની જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીના ચરૅમૅન તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રસૂન જોશી ૨૦૧૭થી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. તેમની આ નિમણૂક નવનીત કુમાર સહગલના રાજીનામા બાદ કરવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ તરીકે પ્રસૂન જોશીજીની નિમણૂક બદલ તેમને હાર્દિક અભિનંદન. પ્રસૂનજી એક અનોખી સર્જનાત્મક શક્તિ છે જેમને જાહેરાત, સાહિત્ય, કલા અને સિનેમા ક્ષેત્રે વિશ્વભરમાં માન મળ્યું છે પણ તેમનું હૃદય ભારત માટે ધબકે છે. તેમના શબ્દોમાં આપણી માટીની સુગંધ છે અને તેમની દૃષ્ટિમાં આપણી સંસ્કૃતિનું શાશ્વત તત્ત્વ દેખાય છે. તેમના નેતૃત્વ હેઠળ પ્રસાર ભારતીને નવી ઊર્જા, હેતુ અને નવી સર્જનાત્મક દિશા મળશે.’