બિહારના ભૂતપૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન

24 January, 2024 08:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બિહારના બે વખત મુખ્ય પ્રધાન બનેલા કર્પૂરી ઠાકુર પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા.

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર

નવી દિલ્હી : બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવશે. બિહારના બે વખત મુખ્ય પ્રધાન બનેલા કર્પૂરી ઠાકુર પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા. આજે ૨૪ જાન્યુઆરીએ જનનાયક કર્પૂરી ઠાકુરની ૧૦૦મી જન્મજયંતિ છે. મોદી સરકારે બિહારના દિગ્ગજ નેતાના જન્મદિવસના એક દિવસ પહેલાની આ જાહેરાતને કેન્દ્ર સરકાર દ્વારા માસ્ટર સ્ટ્રોક તરીકે ગણવામાં આવી રહી છે. કર્પૂરી ઠાકુર એક સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, રાજકારણી અને બિહાર રાજ્યના બીજા નાયબ મુખ્ય પ્રધાન અને બે વાર મુખ્ય પ્રધાન છે. તેમની લોકપ્રિયતાને કારણે તેમને પબ્લિક હીરો કહેવામાં આવે છે.

કોણ છે કર્પૂરી ઠાકુર?
કર્પૂરી ઠાકુર બિહારના ગરીબો અને પછાત લોકોના ઉત્થાન માટે તેઓ હંમેશા તત્પર રહેતા. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેઓ બે વખત બિહારના મુખ્ય પ્રધાન બન્યા અને તેમને ક્યારેય ચૂંટણી હારવી પડી નથી. કર્પૂરી ઠાકુરે ભારત છોડો ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ આંદોલન દરમિયાન, તેમને ૨૬ મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

કર્પૂરી ઠાકુરની રાજકીય સફર
કર્પૂરી ઠાકુરે તેમની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પાર્ટીથી શરૂ કરી હતી. તેઓ ૧૯૫૨માં પ્રથમ વખત બિહાર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯૬૭માં તેઓ બિહારના શિક્ષણ પ્રધાન બન્યા હતા અને ૧૯૭૦માં તેઓ બિહારના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, બિહારમાં ઘણા મહત્વપૂર્ણ સુધારા થયા, જેમાંથી એક ગરીબ અને પછાત લોકો માટે અનામતની જોગવાઈ હતી. ૧૯૭૭માં તેઓ ફરીથી બિહારના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમના બીજા કાર્યકાળ દરમિયાન પણ, તેમણે ઘણા મહત્વપૂર્ણ સુધારા કર્યા, જેમાંથી એક બિહારમાં ખાદ્ય અનાજ રેશનિંગ સિસ્ટમનો અમલ હતો.

કારકિર્દીની શરૂઆત ભારત છોડો આંદોલનથી થઈ હતી
કર્પૂરી ઠાકુરનો જન્મ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન સમસ્તીપુરના એક ગામ પીતૌજિયામાં વાળંદ જાતિમાં થયો હતો, જેને હવે કર્પૂરીગ્રામ કહેવામાં આવે છે. જનનાયક જીના પિતાનું નામ ગોકુલ ઠાકુર અને માતાનું નામ રામદુલારી દેવી હતું. તેમના પિતા ગામના સીમાંત ખેડૂત હતા અને તેમના પરંપરાગત વ્યવસાયમાં વાળંદ તરીકે કામ કરતા હતા. તેમણે ભારત છોડો આંદોલન દરમિયાન 26 મહિના જેલમાં વિતાવ્યા હતા. કર્પૂરી ઠાકુરનું ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ પટનામાં અવસાન થયું હતું. તેમને બિહારના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય અને સફળ નેતાઓમાંના એક ગણવામાં આવે છે.

national news bharat ratna new delhi bihar