03 June, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહેર સ્થળે નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતો કિરીટ સોમૈયાનો પત્ર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય તેમ જ અગ્રણી નેતા કિરીટ સોમૈયાએ મુંબઈમાં જાહેર સ્થળો પર અને ખાસ કરીને રસ્તાઓ પર નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
નમાજ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતો પત્ર કિરીટ સોમૈયાએ સોમવારે મુંબઈના પોલીસ-કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને મોકલાવ્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘મુંબઈ જેવા શહેરમાં રસ્તા પર નમાજ પઢવી અને પઢવા દેવી એક સમસ્યા બની ગઈ છે. અમુક જગ્યાએ તો રેલવે-સ્ટેશનની બહાર નમાજ પઢાય છે, જેને કારણે લગભગ એક કલાક સુધી ટ્રાફિક જૅમની પરિસ્થિતિ ઉદ્ભવે છે. આ કારણે રોજબરોજની કામગીરીમાં અવરોધ ઊભો થાય છે.’
ધર્મનું આંધળાપણે અનુસરણ કરતા લોકો આવી પ્રવૃત્તિ કરે છે અને એને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે એમ પત્રમાં લખીને જાહેરમાં નમાજ પર પ્રતિબંધ મૂકવા માટે પોલીસ-કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જૉઇન્ટ ટ્રાફિક-કમિશનર, શહેર અને ઉપનગરના કલેક્ટરોને એના પર પ્રતિબંધ મૂકવા માટે યોગ્ય પગલાં લેવા કિરીટ સોમૈયા દ્વારા વિનંતી કરવામાં આવી હતી.