જસ્ટિસ ભૂષણ આર. ગવઈ બનશે ભારતના એકાવનમા ચીફ જસ્ટિસ, ૧૩ મેએ નિવૃત થશે સંજીવ ખન્ના

17 April, 2025 09:11 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જસ્ટિસ ગવઈને ૨૦૧૯ની ૨૪ મેએ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભૂષણ આર. ગવઈ

ભારતના નવા ચીફ જસ્ટિસપદે જસ્ટિસ ભૂષણ આર. ગવઈના નામની ભલામણ વર્તમાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કરી છે. તેઓ ૧૩ મેએ નિવૃત્ત થઈ રહ્યા છે. પરંપરા મુજબ નિવૃત્ત થતા ચીફ જસ્ટિસ સૌથી સિનિયર જસ્ટિસના નામની ભલામણ કરતા હોય છે. ભૂષણ આર. ગવઈ ૧૪ મેએ તેમનો પદભાર ગ્રહણ કરશે. જોકે તેમનો કાર્યકાળ માત્ર છ મહિનાનો જ રહેશે, કારણ કે તેઓ નવેમ્બર મહિનામાં નિવૃત્ત થશે.

જસ્ટિસ ગવઈને ૨૦૧૯ની ૨૪ મેએ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભૂષણ ગવઈનો જન્મ ૧૯૬૦માં મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. ૨૦૦૩માં તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં ઍડિશનલ જજ તરીકે કરીઅરની શરૂઆત કરી હતી. ૨૦૦૫માં તેમને સ્થાયી જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૫ વર્ષ સુધી તેમણે મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ અને પણજી બેન્ચમાં સેવા આપી હતી. તેમના પિતા દિવંગત આર. એસ. ગવઈ પણ સામાજિક કાર્યકર અને બિહાર તથા કેરલાના રાજ્યપાલ રહ્યા છે.

national news india supreme court indian government delhi news