નેપાલથી રામેશ્વરમ સુધી સસ્તા દરે યાત્રા કરવા IRCTCએ લૉન્ચ કર્યાં નવાં પૅકેજ

01 June, 2026 07:20 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

જૂન અને જુલાઈ મહિનામાં અયોધ્યા, કાશી, ૧૨ જ્યોતિર્લિંગ અને દક્ષિણ ભારતનાં મંદિરોને જોડતી ધાર્મિક યાત્રાઓ ઃ ૧૬,૭૦૦થી ૨૦,૫૦૦ રૂપિયા સુધીનું પૅકેજ

પ્રતીકાત્મક તસવીર

દેશભરના યાત્રાળુઓ માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટ્રાવેલ કૉર્પોરેશન (IRCTC)એ જૂન અને જુલાઈ ૨૦૨૬ માટે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનનાં નવાં ટૂર-પૅકેજ લૉન્ચ કર્યાં છે જે નેપાલથી રામેશ્વરમ સુધી સસ્તી યાત્રાઓ ઑફર કરે છે. આ પૅકેજ મુસાફરોને આધ્યાત્મિક ચેતનાસ્થળો જેવાં કે અયોધ્યા, કાશી, દ્વારકા, રામેશ્વરમ સહિતનાં જ્યોતિર્લિંગો અને નેપાલનાં પ્રખ્યાત ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપશે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મુસાફરી, હોટેલ, ભોજન, સ્થાનિક પરિવહન અને વીમો એક જ પૅકેજમાં સમાવવામાં આવશે.

અયોધ્યા, કાશી અને ૧૨ જ્યોતિર્લિંગ
IRCTCના અયોધ્યા-કાશી પૅકેજમાં પુરી, કોણાર્ક, વૈદ્યનાથધામ, વારાણસી, અયોધ્યા અને પ્રયાગરાજ જેવાં મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાતનો સમાવેશ થશે. આ યાત્રા ૩ જૂનથી શરૂ થશે અને ૧૬,૭૦૦ રૂપિયાથી પૅકેજ શરૂ થશે. વધુમાં સપ્ત જ્યોતિર્લિંગ દર્શનયાત્રા સાથે દક્ષિણ દર્શનયાત્રા પણ ઉપલબ્ધ છે. આ પ્રવાસોમાં ઉજ્જૈન, દ્વારકા, સોમનાથ, પુણે, નાશિક, તિરુપતિ, રામેશ્વરમ અને મલ્લિકાર્જુન જેવાં પ્રખ્યાત તીર્થસ્થાનોનો સમાવેશ થાય છે. પૅકેજોની કિંમત ૧૭,૬૦૦થી ૨૦,૨૫૦ રૂપિયા સુધીની છે.

દક્ષિણ ભારતનાં મંદિરો
IRCTCએ દક્ષિણ ભારતનાં પ્રખ્યાત મંદિરોની મુલાકાત લેવા માટે ઘણા ખાસ પ્રવાસો શરૂ કર્યા છે. દક્ષિણ ભારતના પ્રવાસ પૅકેજમાં તિરુમાલા, રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી અને શ્રીશૈલમ જેવાં મુખ્ય ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. અરુણાચલમ પૅકેજ સાથે દિવ્ય દક્ષિણ યાત્રામાં અરુણાચલમ, ચિદમ્બરમ, તાંજાવુર, ત્રિચી, રામેશ્વરમ અને મદુરાઈ જેવાં ધાર્મિક અને ઐતિહાસિક શહેરોની મુલાકાતનો સમાવેશ થશે. આ યાત્રાઓ નવથી ૧૩ દિવસની વચ્ચે ચાલશે. ટ્રેનની મુસાફરીની સાથે યાત્રાળુઓને હોટેલમાં રહેવાની વ્યવસ્થા, ભોજન અને સ્થાનિક જોવાલાયક સ્થળોની મુલાકાતો પણ મળશે જે યાત્રાને વધુ આરામદાયક બનાવશે.

ઉત્તર-પૂર્વમાં ધાર્મિક સ્થળો
IRCTCએ એનાં નવાં પૅકેજોમાં પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતનાં મુખ્ય ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ કર્યો છે. ઉજ્જૈન-દ્વારકા-વેરાવળ યાત્રા ભક્તોને દ્વારકાધીશ મંદિર અને સોમનાથ જ્યોતિર્લિંગની મુલાકાત લેવાની મંજૂરી આપશે. પુરી-કામખ્યા-બૈદ્યનાથધામ યાત્રામાં પુરી જગન્નાથ મંદિર, આસામમાં પ્રખ્યાત કામખ્યાધામ, વારાણસી અને અયોધ્યા જેવાં તીર્થસ્થાનોનો સમાવેશ થાય છે. આ પૅકેજો ૨૨,૭૭૦થી ૨૪,૧૦૦ રૂપિયાથી શરૂ થાય છે. આનાથી દેશના વિવિધ ભાગોના યાત્રાળુઓ એક જ યાત્રામાં અનેક મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે.

નેપાલ-દર્શન યાત્રા 
આ વર્ષે IRCTCએ નેપાલ જતા યાત્રાળુઓ માટે એક ખાસ પૅકેજ પણ રજૂ કર્યું છે. પશુપતિનાથ નેપાલ-દર્શન યાત્રા હેઠળ પ્રવાસીઓને કાઠમાંડુમાં પ્રખ્યાત પશુપતિનાથ મંદિર તેમ જ પોખરા અને ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઈ જવામાં આવશે. આ ૯ રાત ૧૦ દિવસની સફર ૨૦૨૬ની ૨૪ જૂનથી શરૂ થશે. આ પૅકેજની શરૂઆતની કિંમત ૬૧,૩૪૦ રૂપિયા છે. નેપાલ ટ્રિપમાં ટ્રેન અને બસની મુસાફરી, હોટેલમાં રહેવાની સુવિધા, ભોજન, ગાઇડ સેવા અને વીમો સામેલ હશે. ધાર્મિક યાત્રાની સાથે કુદરતી સૌંદર્યનો અનુભવ આ પૅકેજનો મુખ્ય ભાગ માનવામાં આવે છે.

national news india nepal south india irctc indian railways ayodhya