INDIA Rally: કેજરીવાલની પત્નીએ જનતાને આપ્યો સીએમનો સંદેશ, આપી આ છ ગેરંટી

31 March, 2024 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લોકસભા ચૂંટણી પહેલાં I.N.D.I.A. બ્લોક (INDIA Rally)ની 27 પાર્ટીઓ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં લોકશાહી બચાવો રેલી કરી રહી છે

તસવીરો: પીટીઆઈ

લોકસભા ચૂંટણી પહેલાં I.N.D.I.A. બ્લોક (INDIA Rally)ની 27 પાર્ટીઓ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં લોકશાહી બચાવો રેલી કરી રહી છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી ઉપરાંત શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સમાજવાદી વડા અખિલેશ યાદવ મંચ પર હાજર હતા.

તેમની સાથે CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરી, NCP-SCPના વડા શરદ પવાર, આપ નેતા આતિશી, PDP વડા મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ (INDIA Rally) અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પણ અહીં પહોંચ્યાં છે.

ઉદ્ધવ ઠાકરે રેલી (INDIA Rally)ને સંબોધિત કરનાર પ્રથમ હતા. ઉદ્ધવે કહ્યું કે, “કલ્પના સોરેન અને સુનિતા કેજરીવાલ, ચિંતા ન કરો, માત્ર અમે જ નહીં, આખો દેશ તમારી સાથે છે. થોડા દિવસો પહેલાં એવી આશંકા હતી કે શું આપણો દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો છે? હવે આ સત્ય છે. હું ભાજપને પડકાર આપું છું કે તે તેના બેનર પર લગાવે કે જે પક્ષ ભાજપ સાથે છે તે ED, CBI અને IT છે.

કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે રેલીને સંબોધતા કહ્યું કે, “મોદીજીએ મારા પતિને જેલમાં ધકેલી દીધા, શું તેમણે સાચું કર્યું? તેઓ તમારા કેજરીવાલને લાંબા સમય સુધી જેલમાં રાખી શકશે નહીં. તમારો કેજરીવાલ સિંહ છે. કરોડો લોકોના મનમાં વસે છે.”

સુનીતા કેજરીવાલે જેલમાંથી અરવિંદે મોકલેલો મેસેજ પણ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલની 6 ગેરંટી વાંચી સંભળાવી. પ્રથમ- સમગ્ર દેશમાં 24 કલાક વીજળી. બીજું- સમગ્ર દેશના ગરીબો માટે મફત વીજળી. ત્રીજું- દરેક ગામ અને દરેક વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ. ચોથું- દરેક ગામ અને વિસ્તારમાં મોહલ્લા ક્લિનિક, જિલ્લામાં મલ્ટી સ્પેશિયાલિટી સરકારી હૉસ્પિટલ. પાંચમું- સ્વામીનાથન કમિશન મુજબ યોગ્ય પાક માટે MSP નક્કી કરીને ખેડૂતોને ભાવ આપવામાં આવશે. છઠ્ઠું- દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે.

તે જ સમયે, ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને કહ્યું કે, “આજે અહીંનું પૂર એ વાતની સાક્ષી આપી રહ્યું છે કે જે રીતે તાનાશાહી દળોએ લોકશાહીને નષ્ટ કરવા માટે પગલાં લીધાં છે, તેનો અંત છે. જનતા આ ચૂંટણીમાં કરશે.”

BJPનો દાવો: ‘કેજરીવાલ કો આશીર્વાદ’ અભિયાન ગણતરીના કલાકોમાં જ બંધ

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પૉલિસી કેસમાં જેલમાં છે ત્યારે તેમનાં પત્ની સુનીતા કેજરીવાલે તેમના પતિને જન-સમર્થન મળી રહે એ માટે વૉટ્સઍપ નંબર જાહેર કરી એના પર અરવિંદ કેજરીવાલને આશીર્વાદ મોકલવા લોકોને જણાવ્યું હતું, પણ આ નંબર કલાકોમાં જ બંધ કરી દેવાયો હોવાનો દાવો BJPના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કર્યો હતો. જોકે શેહઝાદ પૂનાવાલાના દાવા વિશે AAP તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

arvind kejriwal sunita kejriwal uddhav thackeray hemant soren new delhi india national news