Andhra Pradesh Accident: બોલેરો કાર અને ટ્રકની ટક્કરમાં આઠ શ્રદ્ધાળુઓનાં કમકમાટીભર્યાં મોત- ૧૨ જણ ઇજાગ્રસ્ત

16 April, 2026 09:27 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Online Correspondent

Andhra Pradesh Accident: કુરનૂલ જિલ્લાના મંત્રાલયમ મંડળમાં ચિલકલાડોના પાસે મોટો રૉડ એક્સિડન્ટ થયો છે. આ ભયાવહ હાદસામાં કુલ આઠ લોકો મોતને ભેટ્યા છે.

કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો તે (તસવીર સૌજન્ય - PTI)

આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લાના મંત્રાલયમ મંડળમાં ચિલકલાડોના પાસે મોટો રૉડ એક્સિડન્ટ (Andhra Pradesh Accident) થયો છે. આ ભયાવહ હાદસામાં કુલ આઠ લોકો મોતને ભેટ્યા છે.

એક્ઝેક્ટલી કયા સ્થળે થયો છે આ બનાવ?

આ એક્સિડન્ટ કર્ણાટક-આંધ્ર પ્રદેશની બોર્ડર નજીક કુરનૂલ જિલ્લાના ધર્મપુર ટોલ પ્લાઝાથી લગભગ નવ કિલોમીટરને અંતરે આવેલ નેશનલ હાઇવે ૧૬૭ પર બન્યો હતો. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર કુલ ૨૧ જેટલા શ્રદ્ધાળુઓ બોલેરો કારમાં જઈ રહ્યા હતા. આ કારની ટક્કર રેડી-મિક્સ લોરી સાથે થતાં આ એક્સિડન્ટ (Andhra Pradesh Accident) થયો હતો. કર્ણાટકના ચિકમંગલુરના રહેવાસી મંત્રાલયમ ખાતે આવેલા રાઘવેન્દ્ર સ્વામીના દર્શનાર્થે જઈ રહ્યા હતા તેઓને આ એક્સિડન્ટ નડ્યો હતો. કુલ આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. પાંચે તો ઘટનાસ્થળે જ દમ તોડી નાખ્યો હતો જ્યારે અન્ય ત્રણ લોકોની સ્થિતિ અતિશય નાજુક હોઇ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. આ ઉપરાંત અન્ય દસ-બાર બીજા લોકોને પણ ઇજાઓ થઈ છે. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે યેમ્મિનૂગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યેમ્મિનૂગર સબ-ડિવિઝનનાં ડીએસપી ભાર્ગવી જણાવે છે કે સાત ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોઇ તેઓને વધુ સારવારની અવશક્યતા છે માટે કુરનૂલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ચાર જણની આ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક વ્યક્તિની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મૃતકોમાં પાંચ મહિલાઓ, ત્રણ વર્ષની એક છોકરી અને બે પુરુષોનો સમાવેશ થાય છે.  આ તમામ મૃતકો કર્ણાટકના હોવાનું જણાઈ આવ્યું છે.

તપાસ ચાલી રહી છે

આ બીનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને શિફ્ટ કરાયા હતા. આ રૉડ એક્સિડન્ટ (Andhra Pradesh Accident)ના મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને કઈ રીતે આ હાદસો બન્યો તેનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

મંગળવારે રાત્રે પંજાબના ફતેહગઢ સાહિબમાં પણ એક મોટો એક્સિડન્ટ (Andhra Pradesh Accident) થયો હતો. પંજાબના ફતેહગઢ સાહિબ ખાતે આનંદપુર સાહિબથી શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટી જતાં આઠ યાત્રાળુઓના મોત થયા હતા અને ૧૯ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પઠાણાના મૌરિંદા-ચુન્ની રોડ વિસ્તારમાં હિમ્મતપુરા નજીક મંગળવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું. ફતેહગઢ સાહિબના નાયબ પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે આ ઘટનામાં એક મહિલા સહિત છ લોકોએ તો ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો અને 21 અન્ય ઘાયલ થયા હતા. પરંતુ સારવાર દરમિયાન બે બીજા લોકોએ પણ દમ તોડ્યો હતો.

national news india andhra pradesh road accident Crime News