ઈરાનનાં બે મોટાં માથાંનો સફાયો કર્યાનો ઇઝરાયલે કર્યો દાવો

18 March, 2026 12:10 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાની અને અર્ધસૈનિક બળના કમાન્ડર ગુલામ રઝા સુલેમાની ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા, જોકે ઈરાને કોઈ પુષ્ટિ નથી કરી

અલી લારીજાની, ગુલામ રઝા સુલેમાની

ઇઝરાયલી વાયુસેનાએ સોમવારે રાતે ઈરાનની અંદર અનેક ઠેકાણે હવાઈ હુમલા કર્યા છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે તેમણે ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સેક્રેટરી અલી લારીજાની અને અર્ધસૈનિક દળના કમાન્ડર ગુલામ રઝા સુલેમાનીને નિશાના બનાવ્યા હતા. અલી ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનની રાજનીતિક અને મિલિટરી લીડરશિપ આ બન્ને અધિકારીઓ સંભાળી રહ્યા હતા. ઇઝરાયલે દાવો કર્યો હતો કે એ હુમલામાં ગુલામ રઝા સુલેમાનીનું મૃત્યુ થયું હતું. પહેલાં તેમણે અલી લારીજાનીના મૃત્યુનો દાવો પણ કર્યો હતો પરંતુ ઈરાને તેમના હાથેથી લખેલી એક સોશ્યલ મીડિયા પોસ્ટ કરવાથી તેમના મૃત્યુ બાબતે રહસ્ય ઘેરાયું હતું.

ઇઝરાયલે ૧૨ કલાકમાં ત્રણ મોટા ટાર્ગેટેડ અટૅક કર્યા હતા. પહેલા હુમલામાં અલી લારીજાનીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, બીજા હુમલામાં સુલેમાનીને ટાર્ગેટ કર્યા અને ત્રીજા નિર્ણાયક અટૅકમાં ઈરાનની નેવીને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. ઇઝરાયલના રક્ષાપ્રધાને બે મુખ્ય નેતાઓના મૃત્યુનો દાવો કરીને કહ્યું હતું કે તેમણે ઈરાનની કમાનને ધ્વસ્ત કરવા માટે આ નિર્ણાયક પગલું લીધું હતું. અલી ખામેનેઈના ગયા પછી અલી લારીજાની જ અસલી નેતા બની ગયા હતા.

જોકે ઈરાને અલી લારીજાનીના મોતની સત્તાવાર પુષ્ટિ નથી કરી. ઊલટાનું લારીજાનીના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર હાથેથી લખેલો મેસેજ શૅર કર્યો છે એને કેટલાક લોકો તેમના જીવતા હોવાનો પુરાવો માને છે. એમાં અલી લારીજાનીએ ઈરાની નૌસૈનિકોનાં મૃત્યુ પર પ્રતિક્રિયા આપી હતી અને આંતરરાષ્ટ્રીય દમનકારીઓ સામેના સંઘર્ષમાં નૌસેનિકોની સાહસિક શહાદત ગણાવી હતી. 

international news world news iran israel united states of america middle east crisis