03 March, 2026 08:27 AM IST | Pakistan | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારી
Pakistan President Asif Ali Zardari: ગયે વર્ષે જ જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેના જવાબમાં ઇંડિયન આર્મીએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાનના અનેક આંતકવાદી કૅમ્પને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઓપરેશન થકી પાકિસ્તાન બરાબરનું હચમચી ગયું હતું.
તાજતેરમાં જ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી (Pakistan President Asif Ali Zardari) નવમી વખત નેશનલ ઍસેમ્બલીના સંયુક્ત સેશનને સંબોધવા માટે પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં ઝરદારીએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માટે તૈયાર છે. સુરક્ષા માટે ભારત સાથે વાતચીત કરવી એ એકમાત્ર રસ્તો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારત પાકિસ્તાન સાથે બીજા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જોકે, સંસદમાં તેમના સંબોધન દરમિયાન વિપક્ષી દળોએ સખત વિરોધ કર્યો હતો.
વળી, પોતાની ખોટી પ્રશંસા કરવાનું પણ ઝરદારી (Pakistan President Asif Ali Zardari) ભૂલ્યા નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારત અને અફઘાનિસ્તાન બંનેને પોતાની શક્તિનો માત્ર એક ટુકડો જ બતાવ્યો છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારી (Pakistan President Asif Ali Zardari)એ આગળ કહ્યું કે "તેમને (ભારતને) મારો સંદેશ માત્ર યુદ્ધના મેદાનથી દૂર જઈ અર્થપૂર્ણ શાંતિ માટે વાતચીત કરવા તરફનો છે. કારણ કે સુરક્ષા માટે આગળ વધવાનો આ એકમાત્ર રસ્તો છે. ઇંડિયન લીડર્સનું કહેવું છે કે તેઓ બીજા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. પ્રદેશમાં શાંતિ માટેના લાઇફલોંગ સપોર્ટર તરીકે હું તેઓને યુદ્ધ ન કરવાની જ સલાહ આપું છું.
મીડિયા રિપોર્ટ્સ એવું પણ સૂચવી રહ્યા છે કે સંસદમાં ઝરદારીએ જમ્મુ-કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના લોકોને પોતાનું રાજકીય અને નૈતિક સમર્થન આપવાનું ચાલુ રાખશે. તેમના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી કાશ્મીરીઓને આઝાદી નહીં મળે ત્યાં સુધી દક્ષિણ એશિયામાં કોઈ પણ વ્યક્તિ આઝાદ અને સુરક્ષિત નહીં રહે.
તેઓએ પોતાની વાત રજૂ કરતી વેળએ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય બાબતે પણ (Pakistan President Asif Ali Zardari) કહ્યું હતું. ઝરદારીએ જણાવ્યું હતું કે ભારતનો આ નિર્ણય એ સીધેસીધો `જળ-આતંકવાદ` જ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભારત રાજકીય દબાણ લાવવા માટે પાણીના પ્રવાહનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એકબાજુ સાંસદમાં ઝરદારી પોતાનો બળાપો ઠાલવતા રહ્યા તો બીજી બાજુ વિપક્ષે તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સંસદમાં `ગો ઝરદારી ગો` અને `રિલીઝ ખાન`ના નારા ગુંજી ઊઠ્યા હતા. પીટીઆઈના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધન પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ કરી રહ્યું હતું. શાંતિ મંડળમાં તેમની ભાગીદારી અંગે પ્રશ્નો ઊભા થતા રહ્યા. `જાલી પીસ બોર્ડ સે બાહર નીકલો`ના નારા પણ લગાવાયા હતા.