H-1B વીઝાધારકોને ટ્રમ્પ-પ્રશાસનનો વધુ એક ઝટકોઃ H-4 વીઝાધારકોની વર્ક-પરમિટ કૅન્સલ કરવાનો હવે પ્લાન

02 September, 2026 07:13 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં સ્થાયી થયેલા ઘણા ભારતીય પરિવારોએ તેમની કારકિર્દી અને જીવન સ્થાપિત કરવા માટે H-4 વર્ક પરમિટ પર આધાર રાખ્યો છે

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકામાં H-1B વીઝા પર નોકરી કરી રહેલા ભારતીયોના પાર્ટનરોને અમેરિકામાં નોકરી કરવા દેવાના અધિકારને સમાપ્ત કરવાની તૈયારીમાં છે. હાલમાં  H-1B વીઝાધારકોના પાર્ટનર (પુરુષ અથવા મહિલા)ને H-4 વીઝા મળે છે જેના વડે તેઓ એમ્પ્લૉયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ (EAD) મેળવીને અમેરિકામાં કામ કરી શકે છે અને પરિવારને આર્થિક સ્થિરતા આપે છે. હવે આ કાયદામાં ટ્રમ્પ બદલાવ લાવવા માગે છે. જો આ પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો દાયકા જૂની નીતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. આની સૌથી વધુ અસર ભારતીય નાગરિકો પર પડશે, કારણ કે મોટા ભાગના H-4 વીઝાધારકો ભારતીય છે.

H-4 વીઝા વર્ક-વીઝા નથી. એ મુખ્યત્વે H-1B વીઝાધારકના જીવનસાથી અને બાળકોને તેમની સાથે અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે. H-4 વીઝા ધરાવતા કેટલાક જીવનસાથીઓ અલગથી એમ્પ્લૉયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ (EAD) માટે અરજી કરી શકે છે. EAD પ્રાપ્ત કર્યા પછી જ તેઓ અમેરિકામાં કાયદેસર કામ કરી શકે છે. આ સુવિધા બધા H-4 ધારકો માટે ઉપલબ્ધ નથી. વર્તમાન નિયમો હેઠળ એ મુખ્યત્વે એવા પાત્ર H-4 જીવનસાથીઓ માટે છે જેમના H-1B જીવનસાથીઓ ગ્રીન કાર્ડ પ્રક્રિયાના ચોક્કસ તબક્કામાં પહોંચી ગયા છે. ૨૦૧૪થી ૨૦૧૭ સુધીના H-4 EAD અરજીના ડેટા દર્શાવે છે કે ૯૩ ટકા મંજૂરીઓ ભારતીય નાગરિકોને મળી હતી અને એમાંથી ૯૪ ટકા મહિલાઓ હતી.

આ દરખાસ્તનો અર્થ એ નથી કે H-4 પર મળતી વર્ક પરમિટ તાત્કાલિક સમાપ્ત થશે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (DHS)એ ફેડરલ રજિસ્ટરમાં ઔપચારિક સૂચના પ્રકાશિત કરવી પડશે. આ પછી જનતાના વાંધાવિરોધ માટે સમય આપવામાં આવશે અને પછી અંતિમ નિયમ જાહેર કરવામાં આવશે. ટ્રમ્પના આ પહેલાંના કાર્યકાળમાં પણ H-4 વર્ક-પરમિટને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ એ યોજના સાકાર થઈ નહોતી. આથી હવે ફરી એ જ દરખાસ્ત સામે આવી હોવાથી ભારતીયોમાં ચિંતા ઊભી થઈ છે.

ભારતીય વીઝાધારકો ચિંતામાં
અમેરિકામાં સ્થાયી થયેલા ઘણા ભારતીય પરિવારોએ તેમની કારકિર્દી અને જીવન સ્થાપિત કરવા માટે H-4 વર્ક પરમિટ પર આધાર રાખ્યો છે. આ દરખાસ્તના અમલીકરણથી માત્ર તેમની નોકરીઓ પર અસર નહીં પડે, પરંતુ આર્થિક મંદી અને કૌટુંબિક તનાવ પણ થઈ શકે છે. આ ફેરફાર વિશે ભારતીય સમુદાયમાં હાલમાં ચિંતા અને ચર્ચા વધી રહી છે.

international news world news donald trump united states of america