17 November, 2025 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
‘હીરામંડી’ની સફળતા બાદ સંજય લીલા ભણસાલી આની સીક્વલ ‘હીરામંડી 2’ લાવવાના પ્લાનિંગમાં છે. હાલમાં શોના એક લેખક વિભુ પુરીએ સિરીઝની સીક્વલ વિશે મહત્ત્વની માહિતી આપતાં કહ્યું છે કે ‘હીરામંડી 2’માં તવાયફો લાહોર છોડીને ફિલ્મી દુનિયામાં આવશે.
આ સીક્વલના અત્યારના સ્ટેટસ વિશે વાત કરતાં વિભુએ જણાવ્યું હતું કે ‘અમે હમણાં સીક્વલના રાઇટિંગ ફેઝમાં છીએ તેમ જ પાત્રો અને એમની વાર્તાઓને શોધી રહ્યા છીએ. ‘હીરામંડી’ની સફળતા બાદ સીક્વલને લઈને ઘણી અપેક્ષા છે. દર્શકોએ ‘હીરામંડી’ની દુનિયાને સ્વીકારી લીધી છે. ‘હીરામંડી 2’માં તવાયફો લાહોર છોડીને ફિલ્મી દુનિયામાં આવે છે. વિભાજન પછી તેઓ લાહોર છોડી દે છે અને મોટા ભાગે મુંબઈ અથવા કલકત્તા ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વસે છે. બજારમાં તેમનો સંઘર્ષ યથાવત્ છે. તેમને હજી પણ નાચવું-ગાવું તો પડે છે પરંતુ હવે નવાબો માટે નહીં, નિર્માતાઓ માટે. આ સીક્વલનાં પાત્રો બહુ મજબૂત હશે.’