24 November, 2020 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાલિંદી
આ શનિવારથી ઝીટીવી પર શરૂ થયેલા શો ‘બ્રહ્મરાક્ષસ’ની વાતો કપોળકલ્પિત નહીં, પણ એ સત્યઘટના પર આધારિત છે. પહેલી સીઝનમાં લોકવાયકાઓનો સાથ લેવામાં આવ્યો હતો, જ્યારે આ બીજી સીઝનમાં લોકવાયકા અને થોડાં વર્ષો પહેલાં ઉત્તરાંચલમાં બનેલી ઘટનાનો આધાર લેવામાં આવ્યો છે. સિરિયલની લીડ સ્ટાર કાલિંદી નામની ૨૦ વર્ષની એક યુવતી છે. અંબાલામાં રહેતી કાલિંદીનો આધાર લઈને હવે બ્રહ્મરાક્ષસ પાછો આવવા માગે છે અને પોતાનું અમરત્વ મેળવવા માગે છે. કાલિંદીની કમનસીબી છે કે તેના જીવનમાં અમુક ઘટનાઓ એવી બની છે કે તે બ્રહ્મરાક્ષસને પાછો લાવવા માટે નિમિત્ત બનવાની છે. કાલિંદીના જીવનમાં અંગદ આવે છે અને આ અંગદ બ્રહ્મરાક્ષસના રસ્તામાં આપોઆપ વિલન બને છે એટલે બ્રહ્મરાક્ષસ નક્કી કરે છે અંગદને રસ્તામાંથી દૂર કરવાનો છે.
આ આખો જંગ આ ત્રણ જણ વચ્ચે છે જેમાં બ્રહ્મરાક્ષસ પાસે પોતાની અસુરી તાકાત છે, જ્યારે કાલિંદી પાસે માત્ર પ્રેમની તાકાત છે અને તેણે એના જોરે લડવાનું છે. કાલિંદી આ જંગ જીતે છે, પણ એ કેવી રીતે જીતે છે એ સૌથી મહત્ત્વનું છે અને એ જ વાતને સિરિયલમાં દેખાડવામાં આવી છે.