20 March, 2026 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો ધુરંધર : ધ રિવેન્જ ૧૦૦૦ કરોડ રૂપિયાનો ધંધો કરશે તો એમાં ૫૦૦ કરોડ રૂપિયા રાકેશજીના કારણે હશે
ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં પોતાની દમદાર ઍક્ટિંગથી રાકેશ બેદી ભારે પ્રશંસા મેળવી રહ્યો છે. ફિલ્મમાં તે ‘જમીલ જમાલી’ નામના કરાચીના કાવતરાખોર રાજકારણીની ભૂમિકા ભજવે છે. હાલમાં રાકેશ બેદીએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન ફિલ્મની ટીમ અને શૂટિંગના અનુભવ અંગે રસપ્રદ વાતો શૅર કરી હતી.
‘ધુરંધર : ધ રિવેન્જ’માં કામ કરવાના પોતાના અનુભવ વિશે રાકેશ બેદીએ કહ્યું હતું કે ‘સેટ પર તમામ કલાકારો વચ્ચે ખૂબ સારું ટ્યુનિંગ હતું. જ્યારે મારો છેલ્લો દિવસ હતો ત્યારે રણવીરે માઇક લઈને કહ્યું કે જો આ ફિલ્મ ૧૦૦૦ કરોડ રૂપિયાનો ધંધો કરશે તો એમાં ૫૦૦ કરોડ રૂપિયા રાકેશજીના કારણે હશે. આ વાત સાંભળીને મેં તેને આટલું મોટું નિવેદન ન આપવા કહ્યું, પરંતુ રણવીર પોતાના શબ્દો પર અડગ રહ્યો. આ મારા માટે બહુ મોટું સન્માન હતું. ડિરેક્ટર આદિત્ય ધરે પણ મને કહ્યું હતું કે જ્યારે મારો છેલ્લો શૂટિંગ-દિવસ આવશે ત્યારે તેઓ ભાવુક થઈ જશે. આ ફિલ્મના સેટ પર એવું ભાવનાત્મક અને સકારાત્મક વાતાવરણ હતું જે ફિલ્મના ગુણવત્તાયુક્ત કામમાં પણ દેખાઈ આવે છે.’