02 May, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રસિદ્ધ ચિત્રકાર અમૃતા શેરગિલ
પ્રિયંકા ચોપડા તેની આગામી ફિલ્મ માટે ચર્ચા છે. જોકે આમાં તે લીડ રોલમાં નથી પણ કૅમિયો એટલે કે નાનકડો રોલ કરી રહી છે. હાલમાં ઇન્ટરનૅશનલ ફિલ્મમેકર મીરા નાયર પ્રસિદ્ધ ચિત્રકાર અમૃતા શેરગિલના જીવન પર આધારિત બાયોપિક ‘અમરી’ બનાવી રહી છે અને મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં પ્રિયંકાનો ખાસ કૅમિયો છે. તાજેતરમાં સામે આવેલા રિપોર્ટ મુજબ પ્રિયંકાએ આ ફિલ્મનું પોતાના ભાગનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. ફિલ્મમાં પ્રિયંકાનું પાત્ર ભલે નાનું હોય, પરંતુ વાર્તામાં મહત્ત્વપૂર્ણ વળાંક લાવનારું ગણાઈ રહ્યું છે. આ જ કારણે ફિલ્મના નિર્માતાઓ આ કૅમિયોને સરપ્રાઇઝ તરીકે જાળવી રાખવા માગે છે. પ્રિયંકા અને મીરા નાયર પહેલી વખત કોઈ પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યાં છે. પ્રિયંકા હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘વારાણસી’ પર કામ કરી રહી છે અને વચ્ચે થોડો સમય મળતાં તેણે અમૃતસરમાં ‘અમરી’નું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. અમૃતા શેરગિલની બાયોપિકમાં મુખ્ય પાત્ર તાન્યા માણિકતલા ભજવી રહી છે. અમૃતા શેરગિલનાં જીવન, કલા અને વ્યક્તિગત સંઘર્ષો પર આધારિત આ બાયોપિક અનેક દેશોની પૃષ્ઠભૂમિમાં શૂટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં પ્રિયંકાની આ પ્રોજેક્ટમાં હાજરી ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધુ મજબૂત બનાવી શકે છે.