Prayag Raj Sharma : અમિતાભ બચ્ચનની ‘કુલી’ ફિલ્મના લેખકે લીધા અંતિમ શ્વાસ

24 September, 2023 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Prayag Raj Sharma : અમિતાભ બચ્ચનની ફિલ્મ `કુલી` અને `નસીબ`ના લેખકનું નિધન થયું છે. તેમણે `ધરમવીર`, `પરવરિશ`, `સુહાગ`, `દેશ પ્રેમી`, `ગિરફ્તાર` અને `મર્દ` જેવી ઘણી શાનદાર ફિલ્મો પણ આપી છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

બૉલિવૂડ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ `કુલી` અને `નસીબ`ના લેખક પ્રયાગ રાજ શર્મા (Prayag Raj Sharma)નું નિધન થયું છે. આ જાણીતા લેખક/ ડિરેક્ટરના નિધનથી સમગ્ર બૉલિવૂડ જગતમાં શોક છે. પ્રયાગ રાજ શર્માના અચાનક થયેલા નિધનથી તેમના અનેક ચાહકો દુખી થયા છે. પ્રયાગ રાજ શર્મા ઉંમરને કારણે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે લડી રહ્યા હતા ત્યારબાદ ગઇકાલે સાંજે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

લેખક પ્રયાગ રાજે (Prayag Raj Sharma) 1970થી 1990ના દાયકાની વચ્ચે ઘણી શાનદાર હિન્દી ફિલ્મો આપી છે. માત્ર તેઓએ લેખન કરી જ કર્યું નહોતું પણ લેખન સાથે પ્રયાગ રાજે અભિનય, દિગ્દર્શન, ગાયન અને ગીત લેખનમાં પણ પોતાની પ્રતિભાની કમાલ બતાવી હતી. પ્રયાગ રાજ શર્મા અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મોનો પણ પણ ભાગ રહ્યા હતા. જોકે, તેમને સૌથી વધુ ઓળખ મેગાસ્ટાર એટલે કે અમિતાભ બચ્ચનની ફિલ્મોની સ્ટોરીઓને કારણે મળી હતી. 

પ્રયાગ રાજ શર્માનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. કેવી સરસ વાત છે કે લેખકનું નામ તેઓના શહેર પરથી રાખવામાં આવ્યું હતું. પ્રયાગ રાજે અનેક ફિલ્મોની સ્ટોરી લખી હતી. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. 

પ્રયાગ રાજ શર્મા (Prayag Raj Sharma) જ્યારે નાના હતા ત્યારે જ તેમના પિતા આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ નાના પ્રયાગ ઉપર ઘરની જવાબદારી આવી પડી હતી. ત્યારબાદ નાની વયે જ પ્રયાગે પોતાના પરિવારને મદદ કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓએ મુંબઈના પૃથ્વી થિયેટર્સમાં કામ કરવાનું શરૂ કર્યું. જો કે, આ દરમ્યાન તેઓએ અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો.

પ્રયાગ રાજે અનેક ફિલ્મોમાં પોતાની લેખન કળા દર્શાવી હતી. કહેવાય છે કે તેઓએ ફિલ્મ `અમર અકબર એન્થની`થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત `ધરમવીર`, `પરવરિશ`, `સુહાગ`, `દેશ પ્રેમી`, `કુલી`, `ગિરફ્તાર` અને `મર્દ` જેવી ઘણી શાનદાર ફિલ્મો પણ તેઓએ આપી છે. દર્શકોને તેમની ફિલ્મોની સ્ટોરી ખૂબ જ પસંદ આવી છે અને આજે પણ આ ફિલ્મો વખાણાય છે. 

આજની પેઢી યાહૂ આ નામથી પરિચિત છે પરંતુ પ્રયાગ રાજે જ જંગલી ફિલ્મના ગીત માટે પોતાનો અવાજ આપીને આ શબ્દને લોકપ્રિય બનાવ્યો હતો. 60ના દાયકામાં યાહૂ શબ્દને લોકપ્રિય બનાવનાર બીજું કોઈ નહીં પણ પ્રયાગ રાજ શર્મા (Prayag Raj Sharma) જ હતા. તેમણે ફિલ્મ રોટી, અમર અકબર એન્થની, સુહાગ, ધરમ વીર વગેરે જેવી ફિલ્મોની સ્ટોરીઓ લખી હતી.

તેઓએ માત્ર અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ કમલ હાસન અને રજનીકાંત સ્ટારર ફિલ્મ `ગિરફ્તાર`ના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેમના નિધનથી દરેક વ્યક્તિ દુઃખી છે. મળતી માહિતી અનુસાર પ્રયાગ રાજ શર્માના અંતિમ સંસ્કાર રવિવારે સવારે શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

celebrity death bollywood news bollywood gossips bollywood amitabh bachchan entertainment news