21 July, 2022 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત અને કરણ મલ્હોત્રા
કરણ મલ્હોત્રાનું કહેવું છે કે શૂટિંગ દરમ્યાન સંજય દત્ત સરને કૅન્સર થયું હતું, પરંતુ એમ છતાં કંઈ ન થયું હોય એ રીતે તેમણે કામ કર્યું હતું. તેની ફિલ્મ ‘શમશેરા’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે જેમાં તે શુદ્ધ સિંહનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી ૧૮૦૦ના સમયની છે. આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સંજય દત્તને કૅન્સર થયું હોવાનું જાણવા મળ્યું હતું. એ વિશે વાત કરતાં ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ કહ્યુ કે ‘સંજય સરને કૅન્સર થયું એ વિશે જાણીને અમને બધાનો શૉક લાગ્યો હતો. અમને એ વિશે કોઈ માહિતી નહોતી. તેઓ વાત-વર્તન અને કામ એ રીતે કરતા કે જાણે કંઈ થયું જ નથી. મને લાગે છે કે આ જ કારણ છે કે તેઓ આજે જ્યાં છે ત્યાં પહોંચી શક્યા છે. તેઓ સેટ પર દરેક માટે પ્રેરણારૂપ બન્યા હતા. સંજય સરે તેમની લાઇફનાં ઘણાં વર્ષ ઍક્ટિંગને આપ્યાં છે. સંજય સર પરથી અમને પ્રેરણા મળતી હતી કે સેટ પર કેવી રીતે પોતાને રાખવું જોઈએ. તેઓ ‘શમશેરા’નું શૂટિંગ એ ઍટિટ્યુડ સાથે કરતા કે એવી કોઈ વસ્તુ નથી જેનો સામનો તેઓ ન કરી શકે. તેમણે ક્યારેય એ વિશે નહોતું કહ્યું કે તેઓ પર્સનલી કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ સેટ પર પણ હંમેશાં હળવો મૂડ બનાવી રાખતા હતા. તેમણે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આપણે હસતા ચહેરે લાઇફની કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ. મારા માટે સંજય સર સુપરમૅન છે. તેમના જેવું કોઈ નથી.’