17 April, 2026 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ્યમાન ખુરાના
TIME મૅગેઝિને જ્યારે રણબીર કપૂરનો TIME100માં સમાવેશ કર્યો ત્યારે આયુષ્યમાન ખુરાનાએ મૅગેઝિનમાં રણબીર વિશે ખાસ આર્ટિકલ લખ્યો છે. આ આર્ટિકલમાં આયુષ્યમાને લખ્યું હતું કે ‘કલાકારોમાં કેટલાક એવા હોય છે જે વારસા પાછળ દોડે છે, જ્યારે કેટલાક પોતાની કળા દ્વારા પોતે જ એક વારસો બની જાય છે. રણબીર કપૂર એ બીજા પ્રકારનો કલાકાર છે. ભારતીય સિનેમા જેવી ઉત્સાહી અને વિશાળ ઇન્ડસ્ટ્રીમાં આપણે ઘણી વાર મહાનતાને બૉક્સ-ઑફિસના આંકડા, ફૅન્સનો ક્રેઝ અને ઓપનિંગ વીક-એન્ડ જેવી બાબતો દ્વારા માપીએ છીએ. જોકે ક્યારેક કોઈ અભિનેતા કંઈક એવો બદલાવ લાવે છે જે વધુ શાંત, પરંતુ લાંબા સમય સુધી અસરકારક હોય છે અને એ છે દર્શક તરીકે આપણી ભાવનાત્મક ભાષા. રણબીર કપૂર તેની ફિલ્મોના માધ્યમથી આ કામ કરતા આવ્યા છે.’
આયુષ્યમાને પોતાના આર્ટિકલમાં આગળ લખ્યું છે કે ‘જ્યારે દુનિયામાં પર્ફોર્મન્સને વધુ ચમકદાર બનાવવામાં આવે છે ત્યારે રણબીર અંદરથી અભિનય કરે છે. તેઓ શાંતિ અને સંયમ દ્વારા આપણી સંસ્કૃતિને રજૂ કરે છે. તેઓ એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જે હવે પોતાને સાંભળવાનું શીખી રહ્યું છે અને પોતાની છાપ છોડી રહ્યું છે.’
રણબીરની વૈશ્વિક લોકપ્રિયતા વિશે આયુષ્યમાને લખ્યું છે કે ‘વૈશ્વિક સ્તરે પણ રણબીર જેવા કલાકારો મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક પુલ બની જાય છે. રણબીર એક એવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જે માત્ર વ્યાપકતામાં નહીં, સંવેદનશીલતામાં પણ વિકાસ કરી રહ્યું છે. આજે આપણું સિનેમા વિશ્વ પર પ્રભાવ પાડી રહ્યું છે. રણબીર માત્ર એક ફિલ્મસ્ટાર નથી. તે એક સ્ટોરીટેલર છે જે વૈશ્વિક દર્શકો સાથે જોડાઈને તેમને એવા દેશની સ્ટોરીઓ કહે છે જ્યાંનાં રામાયણ જેવાં મહાકાવ્યોએ અનેક સંસ્કૃતિઓ અને નાગરિકતાઓને પ્રેરણા આપી છે.’