સેહવાગની જેમ મૅચને એકતરફી બનાવે એવો પ્લેયર ભવિષ્યમાં બનશે અભિષેક શર્મા : હરભજન સિંહ

05 February, 2025 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભવિષ્ય વિશે વાત કરતાં ભજ્જી આગળ કહે છે, આપણને વીરેન્દર સેહવાગ જેવા પ્લેયરની જરૂર છે જે આવે છે, તોડે છે અને મૅચને એકતરફી બનાવે છે.

હરભજન સિંહ

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે રેકૉર્ડબ્રેકિંગ ઇનિંગ્સ રમનાર અમૃતસરના ૨૪ વર્ષના ઓપનિંગ બૅટર અભિષેક શર્માની ભારે પ્રશંસા કરી છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં અગાઉ અભિષેકનો કૅપ્ટન રહેલો હરભજન સિંહ કહે છે, ‘ખૂબ સરસ, અભિષેક. મજા આવી. મને એ દિવસ યાદ છે જ્યારે અભિષેક પહેલી વાર પંજાબ માટે રમવા આવ્યો હતો. અભિષેક અને શુભમન (ગિલ)એ મારી કૅપ્ટન્સી હેઠળ (ફેબ્રુઆરી ૨૦૧૭માં) દિલ્હીમાં વિદર્ભ સામે ડેબ્યુ કર્યું હતું. તેની પ્રગતિ જોઈને મને ખૂબ આનંદ થયો. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે અભિષેક આટલો બધો તૂટી પડશે. અવિશ્વસનીય. આજે પણ જ્યારે હું તેને મળું છું ત્યારે હું પહેલાં તેને વધુ બોલિંગ કરવા વિશે વાત કરું છું, પણ બૅટિંગ તેનો પહેલો પ્રેમ છે. તમે કેવી રીતે આટલા બધા છગ્ગા ફટકારી શકો છો. અભિષેક શર્મા, તમે શું ખાઓ છો?’

ભવિષ્ય વિશે વાત કરતાં ભજ્જી આગળ કહે છે, ‘આપણને વીરેન્દર સેહવાગ જેવા પ્લેયરની જરૂર છે જે આવે છે, તોડે છે અને મૅચને એકતરફી બનાવે છે. ભવિષ્યમાં અભિષેક શર્મા તેના જેવો બની શકે છે. તે ટેસ્ટ-ક્રિકેટમાં સેહવાગની સફળતાનું પુનરાવર્તન કરી શકે છે.’

harbhajan singh virender sehwag abhishek sharma cricket news indian cricket team sports news sports