23 May, 2026 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય શંકર
તામિલનાડુના ૩૫ વર્ષના ઑલરાઉન્ડર વિજય શંકરે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ સીમ બોલિંગ ઑલરાઉન્ડર ડોમેસ્ટિક અને IPL જેવી ટુર્નામેન્ટમાંથી રિટાયર થઈને હવે વિદેશી ફ્રૅન્ચાઇઝી લીગમાં ભાગ લઈ શકે છે.
વર્તમાન IPL સીઝનના ઑક્શનમાં અનકૅપ્ડ ખેલાડી તરીકે નામ નોંધાવનાર વિજય શંકર અનસોલ્ડ રહ્યો હતો. તે ૨૦૧૪થી ચેન્નઈ માટે બે સીઝન, હૈદરાબાદ માટે ચાર સીઝન દિલ્હી માટે એક સીઝન તથા ગુજરાત માટે ત્રણ સીઝનમાં રમ્યો હતો. ૭૮ મૅચમાં તેણે ૧૨૩૩ રન કરવાની સાથે ૯ વિકેટ પણ લીધી હતી. તે તામિલનાડુ સહિત ત્રિપુરા માટે પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો છે.
ભારત માટે ૨૦૧૮થી ૨૦૧૯ દરમ્યાન તે ૧૨ વન-ડે મૅચ અને ૯ T20 મૅચ રમ્યો હતો. તેના નામે વન-ડે ફૉર્મેટમાં ૨૨૩ રન અને ૪ વિકેટ છે. જ્યારે ભારત માટે T20માં તેણે ૧૦૧ રન કરવાની સાથે પાંચ વિકેટ લીધી હતી. ૨૦૧૯માં વન-ડે વર્લ્ડ કપ ટીમોમાં પણ તેણે ભાગ લીધો હતો.
વિજય શંકરે પોતાની રિટાયરમેન્ટ-પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારે ઘણી બધી નફરત અને નકારાત્મકતાનો સામનો કરવો પડ્યો છે. હું આ તકનો લાભ લઈને તમને કહેવા માગું છું કે મેં એને અવગણીને આગળ વધવાનું નક્કી કર્યું છે. જો હું એ કરી શકું તો કોઈ પણ કરી શકે છે. સકારાત્મક વિચારો સાથે સખત મહેનત કરો. ક્રિકેટે મને જીવન કેવી રીતે જીવવું એ શીખવ્યું છે. ક્રિકેટ મારું જીવન છે.’